ભરૂચ જિલ્લાના ચાસવડમાં કસ્તુરબા સેવાશ્રમ, મરોલી સંચાલિત આશ્રમશાળા ખાતે રાજયપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે નેત્રંગના ચાસવડ ખાતે કસ્તુરબા સેવાશ્રમ, મરોલી આશ્રમશાળામાં ધેનુ ગીર ગૌશાળા અર્પણ હૉલ તથા ઔષધ બાગના લોકાર્પણનો પ્રસંગ યોજાયો હતો. આ અવસરે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલશ્રીના વરદહસ્તે નાના અને સીમાંત ખેડૂતોને ગૌદાન પણ કરવામાં આવ્યું હતું.

‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’માં રાજ્યપાલશ્રીએ સંબોધનને બદલે ઉપસ્થિત કૃષિકારો સાથે પારસ્પરિક સંવાદ સાધીને રાસાયણિક અને જૈવિક ખેતીને બદલે પ્રાકૃતિક કૃષિથી થતા લાભાલાભ વિશે વિશદ્ સમજ આપી હતી.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જો આપણે સારૂ સ્વાસ્થ્ય જાળવવું હશે તો સારો સ્વાસ્થ્યપ્રદ ખોરાક લેવો પડશે. સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન પ્રાકૃતિક કૃષિ દ્વારા જ મળશે. જંગલમાં જે વૃક્ષો હોય છે, તેમાં તમામ પ્રકારના ખનીજતત્વો હોય છે. કુદરતી રીતે જ તેમાં તમામ પ્રકારના તત્વો ઉમેરાય છે. આ જ પ્રકારના તત્વો આપણી ખેતીમાં અને આપણા ખેત ઉત્પાદનમાં ઉમેરાય તે અંગેનું અભિયાન આપણે ચલાવી રહ્યાં છીએ. આ પ્રાકૃતિક કૃષિથી જ આપણી જમીન ઉપજાઉ બની શકશે. તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

ગુજરાતના નવ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી ચૂક્યા હોવાનું જણાવી રાજયપાલશ્રીએ ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને ધરતી માતાને બચાવવાના આ મહાયજ્ઞમાં જોડાય તે માટે આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, જ્યાં બીમારી હશે ત્યાં જ કમજોરી આવશે. બીમારી નબળાને જ પકડે છે. આથી આપણે આપણા ખેતરમાં જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર, શતપર્ણી જેવા કુદરતી ઉપચારો આદરવા  રાજયપાલશ્રીએ પોતે  લખેલા પુસ્તકમાં પ્રાકૃતિક કૃષિની આપેલી પધ્ધતિઓને અનુસરવા ખેડૂતોને આહ્વાન કર્યું હતું.

કાર્બન ડાયોક્સાઈડ એ વૃક્ષોનો ખોરાક છે અને ઓક્સિજન એ આપણો ખોરાક છે ત્યારે વાતાવરણને બચાવવા માટે આપણે આપણા જન્મદિવસ કે વર્ષગાંઠના અવસરોએ એક વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ અને આ વૃક્ષનું ત્રણ વર્ષ સુધી જતન સંવર્ધન થાય તે માટે કાળજી રાખવી જોઈએ. ત્યારબાદ આ વૃક્ષ આપણને તેના સમગ્ર જીવનકાળ દરમિયાન સાચવશે. વૃક્ષ વાવવું એ ઈશ્વરીય કાર્ય છે અને તેનાથી મોટી કોઈ ઈશ્વરભક્તિ નથી. તેમ જણાવી તેમણે આવનારી પેઢી માટે તે મોટો ઉપકાર હશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ ખેડૂત ભાઈઓની ગેરસમજ દૂર કરતાં જણાવ્યું કે વધુ રાસાયણિક ખાતર વાપરવાથી વધુ ઉત્પાદન મળે છે એવી માન્યતા હશે, પરંતુ હકીકતમાં તેનાથી વિપરિત થઈ રહ્યું છે. આગામી સમયમાં સારા સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ આધારિત ખેતી અપનાવી ખર્ચ ઘટવા સાથે ઉત્પાદકતા વધે તે માટે દેશી ગાય આધારિત ખેતી કરવા માટે સૌ કટિબદ્ધ થઈએ તે આજના સમયની નિતાંત આવશ્યકતા છે. ખેડૂતોની ગેરસમજ દૂર કરીને  ગુરુદક્ષિણામાં જિલ્લાના ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતી કરવાની  હિમાયત તેમણે કરી હતી.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જૂથો, એફપીઓ તથા મોડલ ફાર્મના ૨ જેટલા સ્ટોલની રાજ્યપાલશ્રીએ પ્રત્યક્ષ મુલાકાત લઈ અને પ્રાકૃતિક કૃષિ પેદાશો વિશેની જાણકારી મેળવી હતી.

કસ્તુરબા સેવાશ્રમ, મરોલી આશ્રમશાળામાં ધેનુ ગીર ગૌશાળા અર્પણ હોલ તથા ઔષધ બાગનું લોકાર્પણ  રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વરદહસ્તે કરાયું હતું. વધુમાં ગૌ શાળામાંથી ૭૦ જેટલી ગાયો પૈકી ૫ ગાયો પ્રતિકાત્મક રીતે ખેડૂતોને અર્પણ કરી હતી.

કસ્તુરબા સેવાશ્રમ, મરોલીના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ખુમાનસિંહ વાસિયાએ સ્વાગત પ્રવચન કરીને સંસ્થાકિય પ્રવૃત્તિની વિસ્તૃત વિગતોની જાણકારી આપી હતી.

રાજ્યપાલશ્રીનું આશ્રમશાળા ખાતે ગાર્ડ ઓફ ઑનર આપી ઉષ્માભર્યુ સ્વાગત કરાયું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી દ્વારા કુરુક્ષેત્ર ગુરુકુળમાં તેમના દ્વારા કરવામાં આવતી ખેતીની ડોક્યુમેન્ટ્રી નિદર્શિત કરવામાં આવી હતી. જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા કૃષિકારોએ પોતાની સફળતાની વાત આ અવસરે રજૂ કરી હતી. આ પ્રસંગે આશ્રમ શાળાના અગ્રણીઓને રાજ્યપાલશ્રી દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા, અધિક નિવાસી કલેકટર શ્રી એન. આર. ધાધલ, ઝધડિયાના ધારાસભ્ય શ્રી રિતેશ વસાવા, તાલુકા પ્રમુખ શ્રીમતી વસુધાબેન વસાવા, ચાસવડ ગ્રામ પંચાયત સરપંચશ્રી, ટ્રસ્ટી મંડળના સભ્યો, ખેડુત મિત્રો, મોટી સંખ્યામાં વિધાર્થીઓ,  શિક્ષકો, અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.

આત્મા પ્રોજેકટ ભરૂચ અંતર્ગત જિલ્લાનાં દરેક તાલુકાઓમાંથી ક્લસ્ટર વાઈઝ ૫૩૧  જેટલી ગ્રામ પંચાયતમાંથી ૩૫૨૨૭ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આમ, જિલ્લામાં ૨૦૩૪૮ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. આ ઉપરાંત જિલ્લાનાં તમામ ખેડૂતો આ પહેલ તરફ પાછા ફરે તેવા લક્ષ્યાંક સાથે અત્યાર સુધી ૨૬૧૩૮૩ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ આપવામાં આવી  છે.

error: Content is protected !!