દિવાળી પહેલાં રાજ્યમાંથી ભેળસેળયુક્ત પદાર્થો પકડાવવાનો સિલસિલો યથાવત છે. વડોદરાના હાથીખાના હોલસેલ માર્કેટમાંથી 700 કિલો ભેળસેળયુક્ત મરચું પકડાયું હતું. મુખવાસ અંગે ચેકિંગમાં નીકળેલી ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમને આ જથ્થો મળી આવ્યો હતો. જેને તાત્કાલિક અસરથી જપ્ત કરી જ્યાં સુધી નમુનાનો રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી વેચાણ કરી શકશે નહીં તે પ્રમાણેનો તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો હતો.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણા અને ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ હાથીખાના જથ્થાબંધ અનાજ કરિયાણાના બજારમાં ચેકિંગ માટે ગઈ હતી. જેમાં કલરવાળો મુખવાસ વેચાણ થઈ રહ્યો હોય તેનું ચેકિંગ કરવા ખાસ સુચના આપવામાં આવી હતી અને હાથીખાનામાં આવેલા ચાર વેપારી જય અંબે સ્ટોર પૂર્વી સ્ટોર, મધુવન અને ક્રિષ્ના સ્ટોરમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કલર મુખવાસના બદલે 700 કિલો મરચું હલકી કક્ષાનો જથ્થો હોવાનું જણાવતા તાત્કાલિક અસરથી તે જપ્ત કરવામાં આવ્યો હતો અને જ્યાં સુધી રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી વેપારી વેચાણ કરી શકશે નહીં તે રીતે નિર્ણય કરવામાં આવ્યો હતો.
તાજેતરમાં કડીના બુડાસણમાં આવેલી જીઆઈડીસીમાં એલસીબીએ રેડ કરીને એક કરોડથી પણ વધુની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યાર બાદ કડી પોલીસે પણ અલગ અલગ ટીમો બનાવીને આ પ્રકારનું ઘી ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને જીઆઈડીસીમાં મારૂતિ ફૂડ પ્રોડક્ટ નામની કંપનીમાં નકલી ઘી બનાવવામાં આવતુ હોવાની બાતમી મળતાની સાથે જ દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી પોલીસે શંકાસ્પદ ઘીના 100 ડબ્બા જપ્ત કર્યા હતાં. તે ઉપરાંત ફૂડ વિભાગની ટીમે ઘીના નમૂના લઈ ચકાસણી કરવા માટે લેબોરેટરીમાં મોકલ્યા હતાં. આશરે 10 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી હતી.