આસામમાં ભારે વરસાદને કારણે અનેક ગામો જળમગ્ન,દેશના અનેક રાજ્યોમાં વરસાદની તબાહીથી 175 લોકોએ જીવ ગુમાવ્યા

નવીદિલ્હી : દેશના અનેક રાજ્યોમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. આસામની વાત કરીએ તો આસામમાં આસમાની આફતે રીતસર વર્તાવ્યો છે કહેર. આસામમાં ભારે વરસાદને કારણે અનેક ગામો જળમગ્ન બની ગયા છે. આસામની બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓમાં જળસ્તર વધી જવાથી સ્થિતિ કફોડી બની છે. બ્રહ્મપુત્રા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. હાલ આસામમાં 26 જિલ્લામાં પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા 17 લાખ થઈ ચૂકી છે. જ્યારે કે વધુ 7 લોકોના મૃત્યુ સાથે આ આંકડો 92 સુધી પહોંચી ગયો છે.

આસામમાં પૂરને કારણે અનેક લોકો તેમના ઘરોમાં જ ફસાઇ ગયા છે. રસ્તાઓ પર પાણી એટલું છે કે NDRF તેમજ રેસ્ક્યૂ ટીમ પણ હોડી મારફતે જ લોકો સુધી પહોંચી રહી છે. રેસ્ક્યૂ ટીમ દ્વારા પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાઇ રહ્યું છે. તો અન્ય લોકોને જરૂરી રાહત સામગ્રી તેમજ ફૂડ પેકેટ પણ પહોંચાડવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં પણ વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. પહાડોમાં વરસાદને કારણે ઉત્તરપ્રદેશની નદીઓ વહેતી થઈ છે. જે પૈકી ઘણી નદીઓ જોખમી સ્તરે પહોંચી ગઈ છે.

સરયૂ, ઘાઘરા અને રાપ્તી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. બલરામપુર અને લખીમપુરમાં પૂર સંબંધિત દુર્ઘટનાઓમાં 5 લોકોના મોત થયા છે. તો લખીમપુરના ઘણા ગામો પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. 125થી વધુ જેટલા ગામો પાણીમાં ડૂબી ગયા છે. પીલીભીત, લખીમપુર ખેરી, શ્રાવસ્તી સહિત 12 જિલ્લાનાં લગભગ 800 ગામોમાં પૂર જેવી સ્થિતિ છે. સૌથી ભયાનક સ્થિતિ પીલીભીત અને લખીમપુર ખેરીમાં છે. NDRF અને SDRFની ટીમ પીલીભીત અને લખીમપુર ખીરીમાં બચાવ કાર્યમાં વ્યસ્ત છે. ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં વરસાદ, પૂર અને વીજળી પડવાને કારણે છેલ્લા 24 કલાકમાં 56 લોકોના મોત થયા છે. એકલા ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી 52 લોકોના મોત થયા છે. યુપીમાં પૂર-વરસાદ સંબંધિત અકસ્માતોમાં 32 લોકોએ જીવ ગુમાવ્યા છે.

error: Content is protected !!