મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે.ત્યારે મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાની પહેલી ઝલક જોવા મળી છે. લાલબાગચા રાજાના શિરે 16 કરોડ રૂપિયાનો મુગટ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.લાલબાગચા રાજા મુંબઈનું સૌથી પ્રખ્યાત ગણેશ મંડળ છે. સમગ્ર મહારાષ્ટ્રમાંથી વીવીઆઈપી લોકો દર્શન માટે આવે છે.
મળતી માહિતી અનુસાર, લાલબાગચા રાજાના શિરે આ વર્ષે 20 કિલો સોનાનો મુગટ છે.જે અંબાણી પરિવારે અર્પણ કર્યો છે.જેની કિંમત 16 કરોડ રૂપિયા છે. જેમાં ઝીણી કોતરણીવાળી ગોલ્ડન અને સિલ્વર ડિઝાઇન સાથે રાજાની પાછળ બંને તરફ મહેલની દીવાલ પર મોરની સજાવટ પણ કરવામાં આવી છે.
અનંત અંબાણીને લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના ઑનરરી મેમ્બર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અંબાણી પરિવારે આ ગણેશ મંડળની પેશન્ટ આસિસ્ટન્ટ ફંડ સ્કીમમાં પણ ફાળો આપ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશને લાલબાગચા રાજા મંડળને 24 ડાયાલિસિસ મશીન પણ આપ્યા છે. દર વર્ષે અંબાણી પરિવાર પણ કરોડો રૂપિયાનું દાન કરે છે.લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના સુધીર સીતારામ સાળવીએ જણાવ્યું હતું કે લાલબાગચા રાજાની પ્રથમ ઝલક બહાર આવી છે. મંડળે તેની માટે સારી રીતે તૈયારીઓ કરી છે. લાલબાગચા રાજાના દર્શન માટે લાઇન લાગે છે.તેમજ શરૂ થતા દર્શન માટે પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
મુંબઈમાં લાલબાગચા રાજાની પ્રતિમાનો ભવ્ય દેખાવ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. મૂર્તિની ડિઝાઇન દર વર્ષે બદલાતી રહે છે. ગણેશોત્સવ દરમિયાન અહીં મોટી સંખ્યામાં લોકો પોતાની ઈચ્છા સાથે ગણપતિના દર્શન કરવા આવે છે. ગણેશ મંડળ દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.લાલબાગચા રાજાના દર્શન કરવા દેશ-વિદેશથી લોકો આવે છે.





