ગુજરાત પોલીસે સૌપ્રથમવાર વિદેશથી કોઈ આરોપીનું નહીં પરંતુ, કેદીનું પ્રત્યાર્પણ સ્વીકાર્યું

દેશના કાયદાકીય ઇતિહાસમાં જવલ્લે જ બનતી ઘટનાનું સુરત સાક્ષી બન્યું છે. ગુજરાત પોલીસે સૌપ્રથમવાર વિદેશથી કોઈ આરોપીનું નહીં પરંતુ, કેદીનું પ્રત્યાર્પણ સ્વીકાર્યું છે. ભારતીય કેદીને લઈ દિલ્હી ઍરપૉર્ટ આવેલા બ્રિટિશ એસ્કોર્ટ અધિકારીઓએ ગુજરાત પોલીસને કેદીનું પ્રત્યાર્પણ કર્યું હતું. મંગેતરની હત્યાના ગુનામાં સજા પામેલા કેદી જીગુ સોરઠીએ પરદેશને બદલે સ્વદેશની જેલમાં બાકી રહેતી સજા કાપવા યુકેની કોર્ટમાં અરજી કરી હતી.

દેશના મોસ્ટ વોન્ટેડ આરોપીઓને ભારત પરત લાવવા કેન્દ્ર સરકાર પરસેવો પાડી રહી છે. બે દિવસ અગાઉ એક આરોપી નહીં પરંતું કેદીનું દિલ્હી ઍરપૉર્ટ ઉપર ગુજરાત પોલીસે પ્રત્યાર્પણ સ્વીકાર્યું હતું. ગુજરાત સરકારના હોમ ડિપાર્ટમેન્ટ કેદીના જાપ્તા માટે એસ્કોર્ટ અધિકારીઓની ટીમ નિયુક્ત કરી હતી. ટીમે દિલ્હી ઍરપૉર્ટ પહોંચી કેદી જીગુ કુમાર સોરઠીની કસ્ટડી સ્વીકારી હતી. ગુજરાત પોલીસ પ્રત્યાર્પણથી કેદીનો કબજો મેળવી ગુજરાત આવવા રવાના થઈ હતી.

કેદીને દિલ્હીથી સીધો સુરતની લાજપોર જેલ લાવવામાં આવ્યો હોવાનું જેલના સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં, બ્રિટનની લેસ્ટર કોર્ટે આરોપી જીગુ સોરઠીને તેની મંગેતરની હત્યા કરવાના કેસમાં દોષી ઠેરવ્યો હતો. આ સાથે જ તેને આજીવન કેદની સજા ફટકારી હતી. કેદીએ યુકેની કોર્ટ સમક્ષ તેની બાકી રહેતી સજા ઇંગ્લૅન્ડની જેલને બદલે ભારતીય જેલમાં કાપવા માટે અરજી કરી હતી. બ્રિટન સરકારે કેદીના પરિવાર બાબતે ભારત સરકાર પાસેથી વિગતો માંગી હતી. કેદીનો પરિવાર ગુજરાતમાં રહેતો હોવાથી તેને ગુજરાતની જેલમાં ટ્રાન્સફર કરવા નિર્દેશ થયો હતો.

બ્રિટનમાં રહેતા મૂળ ભારતીય એવા 24 વષીય જીગુ કુમાર સોરઠીએ તેની મંગેતર ભાવિની પ્રવિણને લેસ્ટરમાં તેના ઘરે ચાર વખત ચાકુ મારતાં મોત થયું હતું. ભાવિનીના માતા-પિતા જીગુ સાથેના સંબધોથી વિરુદ્ધ હતા. સંબંધ આગળ વધે નહીં તે માટે ભાવિનીને સમજાવી રહ્યા હતા. ધીમે ધીમે ભાવિનીનું વર્તન બદલાતાં બંનેના સંબંધોમાં તિરાડ પડી હતી. બંને વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે તા. 2જી માર્ચે બપોરે ભાવિનીની તેના ઘરે જીગુ કુમારે હત્યા કરી હતી.આ કેસમાં લેસ્ટરશાયર પોલીસે નોંધ્યું હતું કે, બે કલાક પછી તેણે નજીકના પોલીસ સ્ટેશનની બહાર એક અધિકારીનો સંપર્ક કર્યો હતો અને તેને હત્યામાં પોતાને ફસાવાયો હોવાની કેફિયત રજૂ કરી હતી. જીગુ કુમારે પોતે હત્યાનો ઇન્કાર કર્યો હતો. જોકે, કોર્ટે તેને દોષી ઠેરવ્યો હતો.કોર્ટે નોંધ કરી હતી કે, તે ભયાનક, ક્રૂર અને નિર્દય હત્યા છે. તમે એક સુંદર, પ્રતિભાશાળી યુવતીનો જીવ લીધો છે, શેના માટે? જજે કહ્યું, તમે બદલો લેવા માંગતા હતાં તેના કરતાં તમે તમારી જાતને શરમમાં લાવ્યા છો.

error: Content is protected !!