ભુજના મુન્દ્રા રોડ વચ્ચે કેરા ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસમાં 40 લોકો સવાર હતાં, જેમાંથી સાત લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. આ સિવાય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની ગંભીરતા જોતા મૃત્યુઆંક વધી શકે છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રકને ઓવરટેક કરવા જતા બસને અકસ્માત નડ્યો હતો. ટ્રકની સાથે ટકરાતા બસના આગળના આખા ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે મૃતદેહો રસ્તા પર ફંગોળાયા હતા.કચ્છમાં બેફામ રીતે ઉતારુઓની હેરફેર કરતી ખાનગી લકઝરી બસ સંચાલકો સામે પોલીસ અને આરટીઓ તંત્ર નાકામયાબ રહ્યું છે અને સતત આવા બનાવો બની રહ્યા છે.