સોનગઢનાં ડોસવાડા ગામમાં પથારીમાં નિંદ્રા માણતા પુત્રના ગળામાં ઉપરાછાપરી કુહાડીના ઘા ઝીંકી જેની કરપીણ હત્યા કરી ફરાર થયેલા સસરા સામે પુત્રવધુએ કરેલ ફરિયાદમાં આરોપીને આજીવન કેદ અને રૂપિયા ૫,૦૦૦/-નો દંડ ફરમાવતો હુકમ વ્યારાનાં એડી.સેસન્સ જજ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં ડોસવાડા ગામનાં બંગલી ફળિયામાં રહેતા સંદિપભાઈની ગત તારીખ ૦૭/૦૫/૨૦૨૩ નારોજ પિતાએ જ ઘાતકી હત્યા કરી હતી. જે મુદ્દે સંદિપભાઈના પત્નિ પ્રિયંકાબેન ગામીતએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, તારીખ ૦૬/૦૫/૨૦૨૩ નારોજ સાસુ-સસરા વચ્ચે બોલાચાલી થતા સાસુને સસરા ગળામાં પકડી રહેતા જેઓએ બુમ પાડતા પતિ સંદિપભાઈએ જેઓને છોડાવ્યા હતા. ત્યારબાદ તારીખ ૦૭/૦૫/૨૦૨૩ નારોજ સસરા કાંતુભાઈએ પતિ સંદિપભાઈ સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ મોપડે લઈને કયાંક સસરા ચાલ્યા ગયા હતા. પતિ ગામમાં લગ્ન હોય તેની તૈયારી ચાલતી હોય ત્યાં ગયેલા ત્યારબાદ રાત્રે આવીને બે દીકરીઓ અને પતિ-પત્નિ જમી-પરવારીને ઉંઘી ગયા હતા. બે દિકરીઓ પ્રિયંકા સાથે જયારે સંદિપભાઈ અલગ ખાટલામાં સુઈ ગયા હતા. રાત્રિ દરમિયાન અચાનક સંદિપભાઈએ બુમ પાડતા પત્નિ તથા દિકરી જાગી ગયા હતા. તે દરમિયાન સસરા કાંતુભાઈ નાથુભાઈ ગામીતએ પોતાના હાથમાં કુહાડા વડે પતિ સંદિપને ગળાના ભાગે ત્રણ-ચાર ઘા મારી બારણું ખોલીને ભાગી ગયેલો હતો. પતિની કરપીણ હત્યા સસરાએ જ કરી નાંખતા જે અંગેની ફરિયાદ પોલીસ મથકે થઈ હતી. જે કેસ વ્યારા કોર્ટમાં ચાલી ગયો હતો.
ફરિયાદપક્ષે સરકારી વકીલ સમીર બી.પંચોલીની દલીલો તેમજ ખુન કરતા પત્નિ તથા સગીરવયની દીકરીએ નજરે જોયેલ હોય તેમજ મૌખિક પુરાવા તેમજ સાયન્ટિફીક પુરાવાને ધ્યાને લઈ આરોપી કાંતુભાઈ નાથુભાઈ ગામીતને ઈ.પી.કો. કલમ ૩૦૨ના ગુના અંગે આજીવન કેદની સજા અને રૂપિયા ૫,૦૦૦ નો દંડ ફરમાવતો હુકમ વ્યારા એડી. સેસન્સ જજ એ.બી.ભોજક નાઓએ કર્યો હતો.