વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે અનુસંધાને રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી વિકાસ સહાય (IPS)ની સૂચના તથા સુરત રેંજના પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ (IPS)ના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.કરનરાજ વાઘેલા (IPS)ના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી વલસાડ તથા વાપીના નેતૃત્વ હેઠળ વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મર્ડર, લુંટ, ધાડ, બળાત્કાર અને અપહરણ જેવા ગંભીર ગુનાના લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા વ્યુહરચના ગોઠવવામાં આવી હતી.
એલ.સી.બી, પેરોલ ફર્લો સ્કવોડ, એસ.ઓ.જી તથા જિલ્લાના પોલીસ સ્ટેશનો દ્વારા અંગત બાતમીદારોનો સંપર્ક કરી ટેકનિકલ ટીમની મદદ લઇ તથા હ્યુમન સોર્સ આધારે આરોપીઓની હયાતીની માહીતિ મેળવી ભારત દેશના અલગ અલગ રાજયમાં કેમ્પ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્થાનિક પહેરવેશ ધારણ કરી ખંતપુર્વક મહેનત કરી તા. ૦૧/૦૫/૨૦૨૫ થી તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી એક માસના ગાળામાં વલસાડ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ કુલ- ૩૦ આરોપીને ઝડપી પાડવામાં જિલ્લા પોલીસે સફળતા મેળવી છે. આ તમામ ગુનેગારો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું અખબારી યાદીમાં જણાવાયુ છે.
૨૮ વર્ષથી લઈને ૭ વર્ષ સુધી નાસતા ફરતા આરોપીઓ ઝબ્બે : વલસાડ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટે જણાવ્યું કે, વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઘણા વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં છેલ્લા ૨૮ વર્ષ, ૨૫ વર્ષ અને ૨૧ વર્ષથી લઈને ૭ વર્ષ સુધી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ ગુનેગારો ઝડપાતા હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, બળાત્કાર, છેતરપિંડી અને પ્રોહિબીશનને લગતા વલસાડ જિલ્લા, નવસારી અને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના અનેક ગુનાના ભેદ ઉકેલાયા છે.
વિવિધ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી કામગીરી
ક્રમ | પો.સ્ટે/શાખાનું નામ | પકડેલા આરોપીની સંખ્યા |
૦૧ | એલ.સી.બી.શાખા | ૧૨ |
૦૨ | એસ.ઓ.જી.શાખા | ૦૪ |
૦૩ | પેરોલ ફર્લો સ્કવોડ | ૦૫ |
૦૪ | ભીલાડ પો.સ્ટે | ૦૩ |
૦૫ | વલસાડ રૂરલ પો.સ્ટે | ૦૨ |
૦૬ | ઉમરગામ પો.સ્ટે | ૦૨ |
૦૭ | પારડી પો.સ્ટે | ૦૧ |
૦૮ | ધરમપુર પો.સ્ટે | ૦૧ |
કુલ | ૩૦ |