સુરત જિલ્લાના પીપોદરા ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 48 પર એક અજાણ્યા વાહન ચાલકે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને અડફેટે લેતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, કામરેજ તાલુકાના કઠોર ગામે સહકાર બંગ્લોઝમાં રહેતા 65 વર્ષીય મનસુખભાઈ દુદાભાઈ ઘવા ગત શુક્રવારે સાંજે 6:30 વાગ્યાના સુમારે પીપોદરા 7 સ્ટાર હોટલ સામેથી હાઇવે ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે મુંબઈ તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક અજાણ્યા વાહન ચાલકે મનસુખભાઈને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં મનસુખભાઈને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમજ હાથ અને પગમાં ફ્રેક્ચર થયું હતું. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રાત્રે 9:00 વાગ્યાના સુમારે સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. આ ઘટના અંગે મૃતકના પુત્ર ખોડાભાઈ મનસુખભાઈ ઘવાએ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.





