વ્યારામાં કાયદાના લીરેલીરા: પોલીસ વેરિફિકેશન વગર પરપ્રાંતીય મજૂરો રાખતા બે ભઠ્ઠા સંચાલકો સામે ગુનો દાખલ

તાપી જિલ્લાના કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વહીવટી તંત્રના જાહેરનામાનો સરેઆમ ભંગ કરવા બદલ એસ.ઓ.જી. શાખા દ્વારા બે અલગ-અલગ ઇંટના ભઠ્ઠાના માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન સામે આવ્યું હતું કે આ સંચાલકો મધ્યપ્રદેશથી આવેલા શ્રમિકો પાસે નિયમોનું પાલન કર્યા વિના કામ કરાવી રહ્યા હતા.

તાપી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, કોઈપણ વેપારી કે ભઠ્ઠા સંચાલકે પોતાના ત્યાં કામ કરતા બહારના શ્રમિકોની દૈનિક વિગતોનું રજિસ્ટર રાખવું તેમજ તેમના બાયોડેટા, ફોટો અને આઈ.ડી. પ્રૂફ નજીકના પોલીસ સ્ટેશન તથા મામલતદાર કચેરીમાં જમા કરાવવા ફરજિયાત છે.એસ.ઓ.જી. શાખાની ટીમ જ્યારે કાટીસકુવા ગામ નજીક પેટ્રોલિંગમાં હતી, ત્યારે કાટીસકુવા રોડ પર ઇંટનો ભઠ્ઠો ચલાવતા મનોહરભાઈ વસરામભાઈ પ્રજાપતિ (રહે. રત્નમણી નગર, વ્યારા) ના ભઠ્ઠા પર આશરે ૮ જેટલા મજૂરો કામ કરતા મળી આવ્યા હતા. શ્રમિકોની કોઈ જ સત્તાવાર નોંધણી કે પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું ન હતું.જ્યારે બીજા બનાવમાં આ જ વિસ્તારમાં ડુંગરી ફળિયું નજીક ભઠ્ઠો ચલાવતા જીજ્ઞેશભાઈ મનુભાઈ પ્રજાપતિ (રહે. પાલીતાણા, હાલ રહે. કાટીસકુવા) ના ત્યાં પણ ૬ શ્રમિકો કોઈપણ જાતની નોંધણી વગર કામ કરતા ઝડપાયા હતા.પોલીસ વેરિફિકેશન અને સરકારી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!