અમદાવાદના મકતમપુરા વોર્ડના AIMIMનાં કોર્પોરેટર મહમદ ઝુબેર સામે મનપામાં ફરિયાદ કરાઈ છે. મહમદ ઝુબેરને ત્રીજું સંતાન થતા કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવવા મ્યુનિસિપલ સેક્રેટરી સમક્ષ રજૂઆત કરાઈ હતી. કોર્પોરેટર ઝુબેરને આ અંગે એક સપ્તાહમાં લેખિતમાં ખુલાસો કરવા જણાવાયું છે.આ મામલે મહમદ ઝુબેરે હજી કોઈ ખુલાસો કર્યો નથી. તેમના જવાબ બાદ કાયદાકીય પગલા લેવાઈ શકે છે. કાયદા મુજબ, ત્રીજા સંતાન બાદ કોર્પોરેશનની ચૂંટણી લડી ના શકાય અથવા તો કોર્પોરેટર પદ પર પણ ના રહી શકાય તેવો નિયમ છે.
વર્ષ 2021માં થયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં AIMIM પાર્ટીમાંથી મક્તમપુરા વોર્ડમાંથી મહમદ ઝુબેર પઠાણ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. સ્થાનિક સ્વરાજની સંસ્થામાં નિયમ કોર્પોરેટરને બે સંતાનથી વધારે હોય તો તે ચૂંટણી લડી શકે નહીં. બાદમાં પણ તેને ત્રીજુ સંતાન થાય તો તે કોર્પોરેટર પદ પર રહી શકે નહીં. તેઓને ચૂંટણી સમયે બે સંતાનો હતા.પુરાવા સાથે અરજી કરવામાં આવતા તેના પર તપાસ કરવામાં આવી હતી અને આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના સેક્રેટરી દ્વારા મહમદ ઝુબેરને નોટિસ આપી અને સાત દિવસમાં ખુલાસો કરવા જણાવવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન જે જી.પી.એમ.સી.એકટ મુજબ ચાલે છે. તેની કલમ-10ની પ્રમાણે, ગુજરાત સ્થાનિક સત્તામંડળોને લગતા સુધારા અધિનિયમ -2005 મુજબ ચૂંટણી લડતી વખતે બે કે તેથી વધુ સંતાન હોય તો તમે દાવેદારી જ કરી શકતા નથી. પરંતુ જો ચૂંટણી બાદ ત્રીજું સંતાન જન્મે તો કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડે છે.