નવીદિલ્હી : દેશમાં વધી રહેલી મોંઘવારી પર ગ્રાહક મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે છેલ્લાં 1 વર્ષમાં 65 ટકા મોંઘવારી વધી છે. ખોરાકમાં ઉપયોગમાં આવતી દરેક વસ્તુના ભાવમાં ધરખમ વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓના બજેટ પર મોટી અસર થઈ છે તો લોકોના ખિસ્સા પણ ખાલી થઈ રહ્યા છે. ત્યારે મોંઘવારીએ કઈ રીતે જનતાની કમર તોડી નાંખી?
હવે તમને એમ થતું હશે કે કઈ વસ્તુના 1 વર્ષમાં કેટલાં વધ્યા તો તેના પર નજર કરીએ : વર્ષ 2023માં 1 કિલો તુવેરની દાળનો ભાવ 128 રૂપિયા હતો જે આજે 161 રૂપિયા સુધી પહોંચ્યો છે. એટલે કે 1 વર્ષમાં તુવેરની દાળ 33 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. વર્ષ 2023માં 1 કિલો અડદની દાળનો ભાવ 112 રૂપિયા હતો જે આજે 127 રૂપિયા સુધી પહોંચ્યો છે એટલે કે 1 વર્ષમાં અડદની દાળ 15 રૂપિયા મોંઘી થઈ છે. વર્ષ 2023માં 1 કિલો બટાકાનો ભાવ 22 રૂપિયા હતો. જે આજે 32 રૂપિયા છે એટલે કે 1 વર્ષમાં બટાકાનો ભાવ 10 રૂપિયા વધી ગયો છે. વર્ષ 2023માં 1 કિલો ડુંગળીનો ભાવ 23 રૂપિયા હતો જે આજે 38 રૂપિયા છે એટલે 1 વર્ષમાં ગરીબોની કસ્તુરી 15 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. વર્ષ 2023માં 1 કિલો ટામેટાંનો ભાવ 32 રૂપિયા હતો. જે આજે 48 રૂપિયા છે એટલે 1 વર્ષમાં ટામેટાં 16 રૂપિયા મોંધા બની ગયા છે.
માત્ર શાકભાજી કે દાળ જ નહીં પરંતુ દૂધના ભાવમાં આ વર્ષે વધારો થયો છે. અમૂલ ગોલ્ડના 1 લીટરના ભાવમાં આ વર્ષે 2 રૂપિયાનો વધારો થયો. જ્યારે અમૂલ તાજામાં 6 રૂપિયાનો વધારો ઝીંકાયો. તેલના ભાવ હોય કે દૂધના ભાવ હોય. શાકભાજીના ભાવ હોય કે ફળફળાદીના ભાવ. દરેક જગ્યાએ 1 વર્ષમાં એટલો ભાવ વધ્યો છે કે ગૃહિણીઓનું બજેટ તો ખોરવાયું. પરંતુ મધ્યમ વર્ગને સૌથી વધારે હાલાકીનો સામનો કરવો પડ્યો. કેમ મોંઘવારી વધી રહી છે. તેના કારણો પર નજર કરીએ તો, હાલ તો મોંઘવારીના બોજ નીચે મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. ત્યારે આશા રાખી રહ્યો છે કે કેન્દ્ર સરકાર મોંઘવારી પર અંકુશ લાવે. જેથી તેમનું ભરણપોષણ થઈ શકે.મોંઘવારી અંકુશમાં નહીં આવે તો લોકોને બે ટંક ખાવાના પણ ફાંફા પડી જશે.