વરસાદી આપત્તિમાં કોઈ પણ નાગરિક અન્ન-જળ જેવી પાયાની જરૂરિયાતોથી વંચિત ન રહે તે માટે સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે. સરથાણા કોમ્યુનિટી હોલમાં સ્થળાંતરિત આશ્રિતો માટે ભોજન અને નિવાસની ઉત્તમ સુવિધા ઉભી કરાઈ છે. ગત રોજ ૨૩મીએ કામરેજ વિસ્તારમાં ધોધમાર વરસાદ અને વરસાદી પાણી ભરાવાના કારણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આદર્શ નિવાસી શાળા-સરથાણાના ૩૮ વિદ્યાર્થીઓ અને ૫૭ વિદ્યાર્થિનીઓ તથા ૧૬ સ્ટાફ સહિત કુલ ૧૧૧ વ્યક્તિઓને સુરક્ષિત રીતે ખસેડીને સરથાણા કોમ્યુનિટી હોલમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જ્યાં અસરગ્રસ્ત આશ્રિતો માટે ભોજન, પીવાના પાણી, જરૂરી દવા, સુવા માટે ગાદલા, ચાદરો સહિતની આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
