છત્તીસગઢના કાંકેરમાં રવિવારે 21 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. આ સાથે છત્તીસગઢમાં આ વર્ષે આત્મસમર્પણ કરનારા નક્સલીઓની કુલ સંખ્યા 2,040 થઈ ગઈ છે. રવિવારે આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં 13 મહિલા અને આઠ પુરુષ કેડરનો સમાવેશ થાય છે. આ નક્સલીઓ કેશકલ ડિવિઝનની કુએમારી/કિસ્કોડો એરિયા કમિટીનો ભાગ હતા. ડિવિઝનલ કમિટી સેક્રેટરી મુકેશ સહિત કુલ 21 માઓવાદી કેડર 18 હથિયારો સાથે મુખ્યધારામાં જોડાવા માટે આગળ આવ્યા છે.શરણાગતિ કરનારા 21 કાર્યકર્તાઓમાંથી 4 DVCM, 9 ACM અને 8 પાર્ટી સભ્યોનો સમાવેશ થાય છે. કેડરોએ 3 AK-47 રાઈફલ, ચાર SLR રાઈફલ, 2 INSAS રાઈફલ, 6 .303 રાઈફલ, 2 સિંગલ-શોટ રાઈફલ અને 1 BGL હથિયાર પણ આત્મસમર્પણ કર્યું હતું.
બસ્તરના IG પી. સુંદરરાજે જણાવ્યું હતું કે, ‘આજે કાંકેર જિલ્લામાં વધુ એક નિર્ણાયક પગલું ભરવામાં આવ્યું છે, જ્યારે 21 માઓવાદીઓ સ્વેચ્છાએ મુખ્ય પ્રવાહમાં પરત ફર્યા છે. બસ્તરમાં ડાબેરી ઉગ્રવાદી પ્રભાવનો સામનો કરવા સમુદાયમાં વિશ્વાસ બનાવવા અને શાંતિ અને વિકાસને પ્રોત્સાહન આપવાના અમારા પ્રયાસોમાં આ એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ 21 માઓવાદીઓના પુનર્વસન અને પુનઃ એકીકરણ પ્રક્રિયા ચાલી રહી છે, જે સુરક્ષિત, સમાવિષ્ટ અને પ્રગતિશીલ સમાજ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. અમે ફરી એકવાર પ્રદેશમાં બાકી રહેલા માઓવાદી કાર્યકરોને શાંતિનો માર્ગ પસંદ કરવા અને સમાજમાં પાછા ફરવા વિનંતી કરીએ છીએ, નહીંતર પરિણામો ભોગવવા તૈયાર રહેજો.’
આ વર્ષે બે હજારથી વધુ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું : આ વર્ષે 2000થી વધુ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. ગૃહમંત્રી અમિત શાહે 2026 સુધીમાં દેશને નક્સલ મુક્ત બનાવવાનું વચન આપ્યું છે. આ અનુરૂપ સરકાર નક્સલવાદને નાબૂદ કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આત્મસમર્પણ કરાયેલા નક્સલીઓને મુખ્ય પ્રવાહમાં એકીકૃત કરવા માટે વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રવિવારે આત્મસમર્પણ કરનારા નક્સલીઓને ઘર બનાવવા અને રોજીરોટી કમાવવા માટે વિવિધ યોજનાઓ હેઠળ નાણાકીય સહાય અને લાભો પણ આપવામાં આવશે.





