Latest News : નર્મદા જિલ્લામાં રક્તપિત્તના ૯૮ નવા દર્દીઓ શોધાયા

નર્મદા જિલ્લામાં રક્તપિત્ત (Leprosy) નાબૂદીના હેતુસર તા. ૦૮ ડિસેમ્બર ૨૦૨૫ થી ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજાયેલ લેપ્રેસી કેસ ડિટેક્ટ કેમ્પેઈન (LCDC) કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત આશા વર્કર તથા પુરુષ વોલન્ટીયરોની કુલ ૭૧૮ ટીમો દ્વારા જિલ્લામાં ઘરઆંગણે જઈ તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૪,૯૮૭ શંકાસ્પદ કેસો શોધી કાઢવામાં આવ્યા હતા, જેમનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સરકારી દવાખાનાઓના તબીબો દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું.

આ અભિયાન દરમિયાન નર્મદા જિલ્લામાંથી રક્તપિત્તના કુલ ૯૮ નવા દર્દીઓ શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં ૩૭ ચેપી તથા ૬૧ બિન-ચેપી દર્દીઓનો સમાવેશ થાય છે. તમામ દર્દીઓની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે. નર્મદા જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રી ડો. હેતલ ચૌધરીએ રક્તપિત્ત અંગે માહિતી આપતા જણાવ્યુ હતું કે, રક્તપિત્તમાં ચામડી પર આછો, ઝાંખો અથવા લાલાશ પડતો દાગ, તેમજ સંવેદનાશૂન્ય ચાઠું જોવા મળી શકે છે. યોગ્ય MDT (Multi Drug Therapy) સારવારથી રક્તપિત્ત સંપૂર્ણપણે સાજો થઈ શકે છે. નર્મદા જિલ્લામાં રોગ નાબૂદી માટે સતત અને સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લામાં આવેલા તમામ સરકારી દવાખાનાઓમાં રક્તપિત્તનું નિદાન અને સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ છે.રક્તપિત્ત હવે સંપૂર્ણપણે મટાડી શકાય તેવો રોગ છે, પરંતુ તેની માટે નિયમિત અને પૂર્ણ સમયગાળાની સારવાર લેવી અત્યંત જરૂરી છે. ચેપી રક્તપિત્ત માટે ૧૨ માસ (૧ વર્ષ) તથા બિન-ચેપી રક્તપિત્ત માટે ૬ માસ સુધી સારવાર ફરજિયાત છે.

error: Content is protected !!