સુરતના મહુવા તાલુકાના અનાવલમાં મધમાખીના હુમલામાં ઈલિયાસ વસીયાત નામના આધેડનું મોત નિપજ્યું હતું. અનાવલ રેલવે ફાટક નજીક અચાનક મધમાખીઓએ આધેડ પર હુમલો કરતા આધેડ રોડ પર પડી ગયા હતાં. અસંખ્ય મધમાખીઓના હુમલાથી આધેડને ઈજાઓ પહોંચી હતી. ત્યાર બાદ તેમને 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં.
મધમાખીના હુમલામાં મોતને ભેટેલા આધેડના મૃતદેહનો પોલીસે કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી.આ આધેડ વાંચદા તાલુકાના રૂપવેલના રહિશ હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. મધમાંખીઓના ખતરનાક હુમલાથી આધેડનું મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હુમલો એટલો ખતરનાક હતો કે આધેડ રોડ પર પટકાઈ ગયા હતાં.