સુરત શહેરમાં બેભાન થયા બાદ બે યુવકોના મોત થયા હતા. પાંડેસરામાં સંચા મશીન પર કામ કરતા યુવકનું છાતીમાં દુખાવો થાય બાદ બેભાન થતા મોત થયું હતું. અને વરાછામાં સિલાઈ કામ કરતા યુવકનું એકાએક છાતીમાં દુખાવો ઉપડયા બાદ મોતને ભેટ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશ પ્રતાપગઢના વતની અને હાલ પાંડેસરા વડોદ ગામમાં આવેલા શાસ્ત્રીનગરમાં રહેતા ૩૦ વર્ષીય પવન રાજન વર્મા સંચા મશીન પર કામ કરી પત્ની, બે પુત્ર અને બે પુત્રી સહિતના પરિવારનું ભરણપોષણ કરતો હતો. ગઈકાલે સાંજે પવનને છાતીમાં દુખાવો ઉપડયો હતો. જેથી ઘર નજીકના દવાખાનેથી દવા લીધી હતી. ત્યારબાદ ઘરે એકાએક તે બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે ૧૦૮માં નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પસાર તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. બીજા બનાવવામાં મૂળ ઉત્તર પ્રદેશ અયોધ્યાના વતની અને હાલ વરાછા બરોડા પ્રિસ્ટેજ પાસે ગણેશ કોલોનીમાં આવેલા સંચા ખાતામાં ૩૬ વર્ષીય મોહમ્મદ ઝાવેદ ગફાર રહેતો હતો અને ત્યાં જ ખાતામાં સિલાઈ કામ કરી પરિવારનું ભરણપોષણ કરતો હતો. આજે સવારે મો.જાવેદને ઘરે એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો.





