ઉચ્છલનાં થુંટી ગામનાં જળાશય કિનારે સુરત અને ભરૂચથી ફરવા આવેલ પરિવારના એક મહિલા સભ્ય સાથે છેડતી અને મારામારી મામલે ગત તા.૧૮મી મે નારોજ ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદના આધારે રાયોટીંગ અને છેડતી-મારમારી અંગેની બે જુદીજુદી ફરિયાદ નોંધવામાં આવી હતી,જે મામલે પોલીસે ૬ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જોકે હજી અન્ય આરોપીઓ ફરાર છે તેઓની શોધખોળ તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
શું હતો મામલો ? બનાવની વિગત એવી છે કે, સુરતના વરિયાવ ગામના પ્રતાપસીંહ ચૌહાણ તથા તેમના ફળિયાના અન્ય પરિવારો તારીખ ૧૮ના રોજ ઉચ્છલનાં થુંટી ગામે તાપી નદી કિનારે ઉકાઈ જળાશય કિનારે ફરવા તેમજ નદીમાં સ્નાન કરવા માટે આવ્યા હતા. તે દરમિયાન હિરેનભાઈ ચૌહાણની પત્નીએ નદીમાં સ્નાન કરી લીધા બાદ તેણી કપડાં બદલવાના હતા જેથી હીરેનભાઈએ સાદડીની આડશ કરી હતી.
પરંતુ તે વખતે પાંચેક અજાણ્યા ઈસમો ફુગારાના ટેકરા ઉપરથી ફોટો-વિડીયો કરતા હોવાની શંકાના આધારે હિરેનભાઈ તથા તેમની પત્નીએ અજાણ્યાઓને ફોટો-વિડીયોગ્રાફી કરવા ના પાડી હતી. જેથી અજાણ્યા ઈસમોએ હિરેનભાઈ સાથે મારામારી કરી હતી.
તે દરમિયાન અન્યો પણ સમજાવટ કરવા જતા તે દરમિયાન પ્રતાપસિંહ ચૌહાણને પણ એક ઈસમે લાફો મારી દીધો હતો. અંતે બે પક્ષો વચ્ચે સમજાવટ સાથે છુટા પડયા હતા. સુરતના પરિવારો ઘરે નીકળવાની તૈયારી કરતા હતા તે દરમિયાન આશરે ૧૫ જેટલા અજાણ્યા ઇસમોએ આવી એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી હથોડા આકારના લાકડા તેમજ લાકડાના ડંડા લઈને ફરીથી મારામારી શરૂ કરી હતી.
જેમાં સુરતના વરિયાવ ગામના રહીશ પ્રતાપસિંહ ચૌહાણ, ઉદય પ્રતાપસિંહ, યોગેશભાઈ ચૌહાણ, સાક્ષીબેન ચૌહાણ. હિરેનભાઈ વિગેરેને ફ્રેકચર સહિતની ઈજા શરીરના જુદા-જુદા ભાગોમાં થઈ હતી. બનાવ અંગે અજાણ્યા ૧૫ જેટલા ઈસમો સામે પ્રતાપસિંહ ચૌહાણે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.
જયારે બીજા બનાવમાં ભરૂચ જિલ્લાની ૪૦ વર્ષીય મહિલા તેના દિકરા સાથે સોનગઢ ખાતે તેમના ભાઈને ત્યાં આવી હતી.તારીખ ૧૮-૫-૨૫ નારોજ જેઓ સગા-સબંધીઓ સાથે ઉચ્છલનાં થુંટી ગામે તાપી નદીના ફુગારા કિનારે ફરવા માટે ગયા હતા. તે દરમિયાન નદીમાં એરીગેશન પાસે જતા મહિલાને અજાણ્યા ઈસમે કહેલ કે અહીં લેડીઝ ન્હાય છે જેથી તમે અહીંથી જતા રહો, જેથી મહિલાએ કહેલ કે હું પણ લેડીઝ છું તેમ કહેતા અજાણ્યાએ ઉશ્કેરાઈ જઈ મહિલાનો કોલર પકડી ખુબ નાહવાનો શોખ છે.
ચાલ તને હું નવડાવું છું કહી ખેંચીને પાણીમાં લઈ જવાની કોશિષ કરી ડ્રેસનો કોલર ફાડી નાંખી લાજ લેવાના ઈરાદે છેડતી કરી હતી. મહિલાને બચાવવા દોડી આવેલ તેણીના દિકરાને પણ અજાણ્યા ઈસમે પકડી રાખી તેની સાથેના બીજા બે ઈસમોએ હાથમાં રહેલ પથ્થર વડે તથા ઢીકપાટુનો મારમારી દિકરાને મારી ઈજા પહોંચાડી હતી. જોકે મહિલા સાથે થઈ રહેલ ઘટનાને પગલે ફરવા આવેલ અન્ય લોકો પણ દોડી આવ્યા હતા. મહિલાએ ત્રણ ઈસમો સામે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.
પકડાયેલા આરોપીઓના નામ (૧) સરફરાજ યાસીનમિયાં કરીમ મન્સૂરી (ઉ.વ.૩૩ રહે, યુવક મંડળ શાકભાજી માર્કેટ-સોનગઢ) (૨) નઈમ સબ્બીર સુલેમાન મન્સૂરી (ઉ.વ.૪૩ રહે, જમાદાર ફળિયું-સોનગઢ) (૩) મહમદ સાબિર ફારુકભાઈ મન્સૂરી (રહે,શાકભાજી માર્કેટ જુનાગામ-સોનગઢ) (૪) અબુતલહા સોહેલ યાકુબ મન્સૂરી (રહે, ડેરીવાલા સ્ટ્રીટ નબીપુર ગામ-ભરૂચ) (૫) ફરીદભાઈ દિનમહમ્મદ લુહાર (ઉ.વ.૪૩ ડેરીવાલા સ્ટ્રીટ નબીપુર ગામ-ભરૂચ) અને (૬) તનવીર સોહેલ યાકુબ મન્સૂરી (ઉ.વ.૨૦ રહે, ડેરીવાલા સ્ટ્રીટ નબીપુર ગામ-ભરૂચ)