તાપી જિલ્લામાં ‘સેવાસેતુ ૨.૦’ ગ્રામ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને આગામી તા. ૨૮/૦૧/૨૦૨૬ થી ૨૮/૦૨/૨૦૨૬ સુધી પ્રથમ તબક્કો યોજાશે, જ્યારે ૦૭ માર્ચ ૨૦૨૬ના રોજ બીજા તબક્કાનું આયોજન કરાયું છે.નિઝર તાલુકાની કુલ ૨૦ ગ્રામ પંચાયતોમાં આ સર્વેક્ષણ અભિયાનને સફળ બનાવવા માટે તાજેતરમાં આઈ.ટી.આઈ. નિઝરના સભાખંડ ખાતે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તલાટી કમ મંત્રીઓ, ગ્રામ સેવકો, આશા વર્કર, આંગણવાડી કાર્યકર, એફપીએસ અને વીસીઈ (VCE) સહિતના કર્મચારીઓને વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ તાલીમમાં નિઝરના પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રીએ સંયુક્ત રીતે ઉપસ્થિત રહીને વહીવટી પ્રક્રિયા વિશે જાણકારી આપી હતી. નિઝર તાલુકાની વાત કરીએ તો પ્રથમ તબક્કામાં કુલ ૧૩ જેટલા વિવિધ વિભાગોની ૫૫ જેટલી મહત્વની સેવાઓ જેવી કે આધારકાર્ડ, રેશનકાર્ડ, જમીન વારસાઈ અને આરોગ્યને લગતી સુવિધાઓ લોકોના ઘરઆંગણે પૂરી પાડવા માટે સઘન સર્વે હાથ ધરવામાં આવશે.





