સોનગઢમાં આવેલા મુસ્લિમ કબ્રસ્તાનની જમીન અને દરગાહના વિવાદે નવો વળાંક લીધો છે. કબ્રસ્તાન મામલે ચાલી રહેલી કાયદાકીય પ્રક્રિયા વચ્ચે અજાણ્યા તત્વો દ્વારા દરગાહમાં તોડફોડ કરવામાં આવતા સુન્ની મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે આજે સોનગઢ પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિતમાં રજૂઆત કરી જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
મળતી વિગત મુજબ, સોનગઢ મુસ્લિમ કબ્રસ્તાન અંગે બે જૂથો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ બાબતે આજરોજ એટલે કે,તારીખ 05/03/2026 ના રોજ મામલેદાર કચેરી ખાતે બંને પક્ષોની સુનાવણી રાખવામાં આવી હતી. જોકે, સુનાવણી શરૂ થાય તે પહેલા જ અજાણ્યા અસામાજિક તત્વોએ કબ્રસ્તાનમાં આવેલી દરગાહની ગ્રીલ તોડી નાખી અન્ય નુકસાન પહોંચાડ્યું હોવાનો આક્ષેપ અરજદારો દ્વારા કરવામાં આવ્યો છે.અરજદારોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, જ્યારે કાયદાકીય પ્રક્રિયા ચાલુ હોય ત્યારે આ પ્રકારનું કૃત્ય કરવું એ કાયદાનો અનાદર છે. જાણીબૂઝીને સુન્ની મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવવા અને શાંતિ ડહોળવા માટે આ તોડફોડ કરવામાં આવી છે.સુન્ની મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ પોલીસને વિનંતી કરી છે કે,ઘટના સ્થળનું તાત્કાલિક પંચનામું કરવામાં આવે અને કાયદો હાથમાં લેનારા તત્વો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે.હાલમાં પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.





