વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યમાં અનેક પુલોની ચકાસણી કરવામાં આવી હતી અને આ દરમિયાન અમુક પુલની વર્તમાન સ્થિતિ નબળી જણાતા તંત્ર દ્વારા ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડાંગ જિલ્લાના વઘઈ-સાપુતારા રોડ પર આવેલો અંબિકા નદી પરનો નંદિઉતારા બ્રિજ ભારે કમર્શિયલ વાહનોની અવરજવર માટે આગામી એક વર્ષ માટે બંધ કરવાનું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.
નંદિઉતારા બ્રિજને ક્રિટિકલ પુઅર કેટેગરીમાં મૂક્યો : મળતી વિગતો અનુસાર કાર્યપાલક ઈજનેર દ્વારા તા. ૧૧ જુલાઈના રોજ સરકારી કન્સલટન્ટના તાંત્રિક નિષ્ણાતો દ્વારા આ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમના અહેવાલ મુજબ, નંદિઉતારા બ્રિજને ક્રિટિકલ પુઅર એટલે કે અત્યંત નબળી કેટેગરીમાં મૂકવામાં આવ્યો હતો. આથી, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નાના વાહનો માટે બ્રિજ ચાલુ રાખવા અને ભારે કોમર્શિયલ વાહનો માટે પ્રતિબંધ મૂકવાની ભલામણ કરવામાં આવી હતી.
કમર્શિયલ વાહનોની અવરજવર પર વર્ષ માટે પ્રતિબંધ : આ ભલામણને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટે બ્રિજ પરથી ભારે કમર્શિયલ વાહનોની અવરજવર પર એક વર્ષ માટે પ્રતિબંધ ફરમાવ્યો હતો. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. જો કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગ અંગેની માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.