દેશમાં વિપક્ષ અને મુસ્લિમ સંગઠનોના વિરોધ વચ્ચે લોકસભા અને રાજ્યસભામા પસાર કરેલા વકફ સંશોધન બિલને શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી છે. તેથી હવે આ બિલ કાયદો બન્યો છે. આ અંગે સરકારે નવા વકફ કાયદા અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. પરંતુ હવે વકફ કાયદો ક્યારથી લાગુ કરવામા આવશે તે સરકાર નક્કી કરશે. કારણ કે કેન્દ્ર સરકાર કાયદાના અમલીકરણની તારીખ અંગે એક અલગ નોટિફિકેશન બહાર પાડશે અને આ કાયદો સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.
જોકે, લોકસભા અને રાજ્ય સભામાં વકફ સંશોધન બિલ મંજૂર થયા બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા શનિવારે સાંજે વક્ફ બિલના વિરોધમાં બે પાનાનો પત્ર જાહેર કર્યો અને કહ્યું કે અમે તમામ ધાર્મિક, સમુદાય-આધારિત અને સામાજિક સંગઠનો સાથે મળીને દેશવ્યાપી આંદોલન શરૂ કરીશું. આ આંદોલન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી સુધારા સંપૂર્ણપણે રદ ન થાય. વકફ સુધારો બિલ ઇસ્લામિક મૂલ્યો, ધર્મ અને શરિયા, ધાર્મિક અને સાંસ્કૃતિક સ્વતંત્રતા, સાંપ્રદાયિક સૌહાર્દ અને ભારતીય બંધારણના મૂળભૂત માળખા પર ગંભીર હુમલો છે. ભાજપના સાંપ્રદાયિક એજન્ડાને કેટલાક રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવેલા સમર્થનથી તેમના કહેવાતા ધર્મનિરપેક્ષ ચહેરો ઉજાગર થયો છે.
જ્યારે બીજી તરફ શનિવારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને વક્ફ બિલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં બે અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેમાં પહેલી બિહારના કિશનગંજથી કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ દ્વારા અને બીજી AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી દ્વારા દાખલ કરવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું હતું કે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં જશે અને તેમની સાથે, તમિલનાડુના ડીએમકેએ પણ વક્ફ બિલ વિરુદ્ધ અરજી દાખલ કરવાની વાત કહી છે.આરિફ મોહમ્મદ ખાને લોકસભા અને રાજ્યસભા દ્વારા પસાર કરાયેલા વક્ફ સુધારા બિલને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું- વકફ મિલકતો અલ્લાહની માનવામાં આવે છે. તેનો ઉપયોગ ગરીબો, જરૂરિયાતમંદો અને જાહેર કલ્યાણ માટે થવો જોઈએ. વકફ મિલકતો પર બિન-મુસ્લિમોને પણ સમાન અધિકાર છે.