ગયા મહિનાના પહલગામ હુમલાનો ભારતે પાકિસ્તાનને ‘ઑપરેશન સિંદૂર’ના ઓચિંતા અને સચોટ આક્રમણ સાથે જડબાતોડ જવાબ આપ્યો એ બદલ ભારતીય ક્રિકેટરોએ મોદી સરકારની અને ભારતીય હવાઈ દળ સહિત સમગ્ર ભારતીય સંરક્ષણ સેનાની વાહ-વાહ કરી છે.
કાશ્મીરમાં મિની સ્વિટઝરલૅન્ડ સમાન પહલગામ માં હિન્દુઓને લક્ષ્યાંક બનાવીને કરવામાં આવેલા અટૅકમાં 28 લોકોના જાન ગયા હતા. એ હુમલામાં ભારતીય મહિલાઓના માથેથી સિંદૂર મિટાવી દેવાની કિંમત પાકિસ્તાન હવે ચૂકવી રહ્યું છે. મંગળવારે મધરાત બાદ ભારતે પાકિસ્તાનમાં મૂળ આતંકવાદી પ્રવૃત્તિઓના નવ સ્થાનો પર કરેલી ઓચિંતી એર સ્ટ્રાઈકમાં અનેક ત્રાસવાદીઓ મોતને ઘાટ ઊતર્યા છે.
‘ભારતે ક્રિકેટમાં પાકિસ્તાન સામે ક્યાંય પણ ન રમવું જોઈએ. પાકિસ્તાન જ્યાં સુધી આતંકવાદનું દૂષણ બંધ ન કરે ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારનો સંબંધ ન રાખવો જોઈએ,’ એવું ભારતીય ક્રિકેટ ટીમના હેડ-કોચ ગૌતમ ગંભીરે મંગળવારે કહ્યું ત્યાર પછી આજે એક ટ્વીટમાં ‘ જય હિન્દ’ એવું લખીને ભારતીય ધ્વજનું પ્રતીક બતાવ્યું હતું તેમ જ ઓપરેશન સિંદૂરની તસવીર પણ શૅર કરી હતી.
સેહવાગે તેની પોસ્ટમાં ‘ ધર્મો રક્ષતિ રક્ષતા…’ એવું લખ્યા પછી ‘જય હિન્દ કી સેના…’ એવું લખીને ભારતીય સેનાનો ઉત્સાહ વધાર્યો છે તેમ જ સેહવાગ પોતાના કરોડો ક્રિકેટપ્રેમીઓ સાથે મળીને ભારતીય સેનાની કાર્યવાહીના જશનમાં સહભાગી પણ થયો છે.
ભૂતપૂર્વ ભારતીય ઓપનિંગ બૅટ્સમેન અને કોમેન્ટટર આકાશ ચોપડાએ મીડિયા પરની પોસ્ટમાં લખ્યું છે, ‘ આખો દેશ ભારતીય સંરક્ષણ સેનાની પડખે છે… જય હિન્દ.’ ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ પણ મીડિયામાં જય હિન્દના પોસ્ટરને શૅર કર્યું છે.