પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતે તેની જ ભાષામાં જવાબ આપવાનો નિર્ણય કર્યા પછી આતંકવાદીઓના નવ ઠેકાણાને નિશાન બનાવ્યા છે. આ હુમલામાં અનેક આતંકવાદીઓનો ખાતમો બોલાવાયો છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઓપરેશન સિંદૂર અન્વયે મુદરીક, કોટલી, મુઝફ્ફરાબાદ અને બહાવલપુર સહિતના નવ જગ્યાને નિશાન બનાવીને આતંકવાદીઓના કેમ્પનો સફાયો બોલાવ્યો હતો. આ હુમલા પછી ભારતીય વાયુસેનાએ એર પેટ્રોલિંગ વધારી દીધું છે, જ્યારે તમામ સુરક્ષા દળોને એલર્ટ રહેવાની તાકીદ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે.
ઈન્ડિગો અને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ રદ્દ : ભારતની પાકિસ્તાન પર એર સ્ટ્રાઈકને કારણે હવાઈ સેવા પર ગંભીર અસર થઈ છે. ઈન્ડિગોએ ઉત્તર ભારતની ફ્લાઈટ્સ પર અસર થવાના અહેવાલ વચ્ચે હવે એર ઈન્ડિયાએ પણ બપોરના બાર વાગ્યા સુધીની તમામ ફ્લાઈટ્સ રદ્દ કરી છે. શ્રીનગર એરપોર્ટને પણ બંધ કરવામાં આવ્યું છે. એર ઈન્ડિયાએ પ્રવાસીઓ માટે એડવાઈઝરી જારી કરતા કહ્યું છે કે વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયાએ આગામી આદેશ સુધી જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટની તમામ ફ્લાઈટ્સને આજે બપોરના 12 વાગ્યા સુધી રદ્દ કરી છે, જ્યારે ઈન્ડિગોએ પણ શ્રીનગર, જમ્મુ, લેહ સહિતની તમામ ફ્લાઈટ્સ સેવા પર અસર થઈ હોવાનું જણાવ્યુ હતું.
ભારતની એર સ્ટ્રાઈકથી ફફડી ઉઠેલા પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાજ શરીફે કહ્યું હતું કે પાકિસ્તાનની ધરતી પર પાંચ જગ્યાએ હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનને આ યુદ્ધ માટે ઉકસાવનારી હરકતનો શક્તિશાળી રીતે જવાબ આપવામાં આવશે. પાકિસ્તાનની સેના અને જનતા સંપૂર્ણપણે એક છે અને દેશનું મનોબળ ઊંચું છે. જોકે, ભારતના કાશ્મીર સ્થિત પહલગામના આતંકવાદી હુમલાનો બદલો લેવાના ભાગરુપે મધરાતથી હાથ ધરેલા ઓપેરશન સિંદૂર અન્વયે કાર્યવાહી બાદ પાકિસ્તાન હરકતમાં આવી ગયું છે. ભારતના હુમલાથી બચવા માટે કરાચી અને લાહોરનું એર સ્પેસ બંધ કર્યું છે. એના સિવાય લાહોર અને સિયાલકોટ એરપોર્ટને પણ આગામી 48 કલાક માટે બંધ કરવામાં આવ્યું છે.