Plane crash: અસરગ્રસ્ત પરિવારોને 25 લાખ રૂપિયાની વચગાળાની સહાય આપવામાં આવશે:- એર ઈન્ડિયા

એર ઈન્ડિયાએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મુસાફરો અને એકમાત્ર બચી ગયેલા મુસાફરોના પરિવારો માટે નાણાકીય સહાયની જાહેરાત કરી છે.

શનિવારે (14 જૂન) એર ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત આપવા માટે 25 લાખ રૂપિયાની વચગાળાની સહાય આપવામાં આવશે. આ પહેલા ટાટા ગ્રુપની કંપની ટાટા સન્સે મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

એરલાઈને જણાવ્યું હતું કે એર ઈન્ડિયા હાલનાં અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારો સાથે એકતામાં ઉભી છે. અમારી ટીમો આ અવિશ્વસનીય મુશ્કેલ સમયમાં સંભાળ અને સહાય પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ સહાય રકમ ટાટા સન્સ દ્વારા અગાઉ જાહેર કરાયેલા 1 કરોડ રૂપિયા સિવાયની છે. એર ઈન્ડિયાએ કહ્યું કે તે આ દુઃખદ સમયમાં પીડિતોની સાથે છે અને તેના કર્મચારીઓ તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે સતત કામ કરી રહ્યા છે.

દુઃખદ સમયમાં પીડિતોની સાથે: એર ઈન્ડિયા : એર ઈન્ડિયાએ કહ્યું હતું કે, ‘આ દુ:ખદ અકસ્માતથી આપણે બધા ખૂબ જ દુઃખી છીએ. જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમારું દરેક પગલું આ મુશ્કેલ સમયમાં તેમના માટે ટેકો બનવાનો પ્રયાસ છે.

અકસ્માતની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના : તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે એર ઈન્ડિયા ફ્લાઈટ AI-171ના અકસ્માતની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું છે કે સમિતિ અકસ્માત પાછળના કારણો શોધી કાઢશે અને શું ખોટું થયું તેની તપાસ કરશે.

સમિતિ હાલના સલામતી નિયમોની પણ સમીક્ષા કરશે અને ભવિષ્યમાં આવા અકસ્માતોને રોકવા માટે નવા રસ્તાઓ સૂચવશે. એર ઈન્ડિયાએ તેના નવ બોઈંગ 787 વિમાનો પર આવી તપાસ પૂર્ણ કરી છે અને બાકીના 24 વિમાનો માટે નિયમનકાર દ્વારા આપવામાં આવેલા સમયમર્યાદામાં પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તૈયાર છે.

error: Content is protected !!