Plane crash: પાયલટે ફ્લાઇટ ટેક્ ઓફની થોડી જ ક્ષણોમાં મે ડે નો કોલ એર ટ્રાફિક કન્ટ્રોલને કર્યો હતો, જાણો પ્લેનક્રેશનો ઘટનાક્રમ

અમદાવાદના ઈતિહાસમાં ૩૭ વર્ષ બાદ વિશ્વ આખાને હચમચાવતી પ્લેન-ક્રેશ દુર્ઘટનાના કારણો અંગે અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે. નિષ્ણાતોના મતે બોઈંગ બ્લાસ્ટ પાછળ પાંચથી છ કારણો પૈકી એન્જિન લોક થવાથી દૂર્ઘટના સર્જાયાનું સમજાઈ રહ્યું છે.

અમદાવાદથી લંડન માટે એર ઈન્ડિયાની ફ્લાઈટ બપોરે ૧-૩૦ વાગ્યે ઉડાન ભરવા માટે રન-વે ઉપર આવી હતી. આઠ મિનિટમાં રન-વે ઉપર ગતિ પકડીને વિમાન ઉડયું હતું. કેપ્ટન સુમિત સબરવાલ અને ટીમે ૧-૩૯ કલાકે વિમાને રન-વે મુકીને હવામાં ગતિ કરી હતી. ૧૨૬ નોટ્સ એટલે ૩૨૨ કિલોમીટરની સ્પીડે વિમાન હવામાં ઉડીને એરપોર્ટથી ૬૨૫ ફૂટની હાઈટે પહોંચ્યું હતું. આ સમયે વિમાને અચાનક જ એર કન્ટ્રોલ સાથેનો સંપર્ક ગુમાવ્યાની સ્થિતિ સર્જાઈ હતી. વિમાનના કેપ્ટને મે-ડે એટલે કે મૃત્યુ તરફ લઈ જતી ક્રિટિકલ ઈમરજન્સીનો મેસેજ કર્યો હતો.

અમદાવાદ રન-વે છોડયો તેની એક જ મિનિટમાં ૬૨૫ ફૂટની ઊંચાઈએ ઊડી રહેલું વિમાન અચાનક જ જમીન તરફ ધસવા લાગ્યું હતું. કેપ્ટનના ‘મે-ડે’ મેસેજ વચ્ચે એરપોર્ટથી ચાર-પાંચ કિલોમીટર દૂર પહોંચેલું પળવારમાં જ ધરાશાયી થયું હતું. લંડન જઈ રહેલું વિમાન બી. જે. મેડિકલ કોલેજ કેમ્પસમાં રોયલ મેસથી આઈજીપી કમ્પાઉન્ડ એટલે કે ડોક્ટર્સ રેસિડન્ટ એવા અતુલ્યમ ફ્લેટ ઉપર જઈને પડયું હતું. ડોક્ટર્સ ફેમિલી અને મેસના અંદાજે અડધા કિલોમીટર વિસ્તારમાં વિમાનનો કાટમાળ ફેલાઈ ગયો હતો.

માનવામાં ન આવે તેવી વિમાન દુર્ઘટનાના કારણો અંગે નિષ્ણાતોએ અભ્યાસ શરૂ કર્યો છે. પ્રાથમિક તારણ અનુસાર, વિમાન હવામાં હતું તે દરમિયાન કોઈ જ પ્રકારનો ધડાકો કે દુર્ઘટના સર્જાઈ તેવી ઘટના સર્જાઈ નહોતી. વિમાનને નુકસાન કરે તેવા બર્ડહીટના ચિહનો પણ મળ્યાં નથી.

આ સંજોગોમાં કોઈ ટેકનિકલ કારણોસર અચાનક જ વિમાનના બન્ને એન્જિન બ્લોક થયાં હોય અને પાવર મળતો બંધ થવાથી વિમાન જમીન તરફ ધસી ગયું હતું. જમીન તરફ ધસી ગયેલું વિમાન ૩૦૦ કિલોમીટર આસપાસની ગતિએ બી.જે. મેડિકલ કોલેજની રોયલ મેસ અને હોસ્ટેલના અતુલ્યમ ફ્લેટસ બિલ્ડીંગ સાથે જઈને અથડાયું હતું. એન્જિન બ્લોકના કારણે વિમાન દુર્ઘટના સર્જાયાનું પ્રાથમિક તારણ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યાં છે.

જો કે, વિમાનના બ્લેક બોક્સ, ફલાઈટ રેકોર્ડર અંગે બોઈંગ કંપનીની અમેરિકી ટીમ સાથે ભારતના એવિએશન નિષ્ણાતોની તપાસ બાદ જ દુર્ઘટનાનું ખરૃં કારણ સ્પષ્ટ થશે.

૧૯૮૮માં ખરાબ હવામાનના કારણે અમદાવાદમાં વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. ૩૭ વર્ષ બાદ સર્જાયેલી કમનસીબ દુર્ઘટના હવામાનના કારણે નથી જ સર્જાઈ એટલું તો નક્કી છે.

પાયલટ સુમિત સબ્બરવાલે ફ્લાઇટ ટેક્ ઓફની થોડી જ ક્ષણોમાં મે ડે નો કોલ એર ટ્રાફિક કન્ટ્રોલને કર્યો હતો. આ પછી એટીસી દ્વારા જેટલા પણ કોલ કરાયા તેમાં કોઇ પ્રતિસાદ મળ્યો નહોતો. કોઇ પાયલટ જોખમભરી સ્થિતિ હોય ત્યારે ‘ મે ડે’ નો કોલ કરતો હોય છે.

પ્લેનક્રેશનો ઘટનાક્રમ

– બપોરે ૧:૩૯ના ફ્લાઇટ ટેક્ ઓફ્ થઇ

– બપોરે ૧:૪૦ના વિમાન ક્રેશ.

– ઘટનાની જાણ થતાં જ બપોરે ૨ વાગે સિવિલને એલર્ટ પર મૂકી દેવાઇ.

– પ્લેન ક્રેશ બાદ દૂર-દૂર સુધી ધૂમાડા દેખાયા.

– બપોરે ૨:૧૦ અમદાવાદ એરપોર્ટમાં ફ્લાઇટની અવર-જવર બંધ કરાઇ.

– બપોરે ૨:૩૦ના નેતાઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ સિવિલ પહોંચ્યા.

– બપોરે ૨:૩૫ વડોદરા ફાયર બ્રિગેડના ૨૫ ફાયર એન્જિન અમદાવાદ મોકલાયા.

– બપોરે ૨:૪૦થી રહેણાંક વિસ્તારમાં બચાવ કામગીરી શરૂ.

– સિવિલમાં મૃતદેહ સાથે દર ૩૦ સેકન્ડે એક-એમ્બ્યુલન્સ આવી.એક તબક્કે સ્ટ્રેચર ખૂટી પડતાં લારીમાં મૃતદેહ લઇ જવા પડયા.

– બપોરે ૩:૩૦ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો.

– સાંજે ૫:૩૦ મર્યાદિત ફ્લાઇટ સાથે એરપોર્ટ શરૂ કરાયું.

– સાંજે ૬:૨૦ના સગાઓના સેમ્પલ ટેસ્ટ લેવા ડીએનએ ટેસ્ટની મદદ લેવાનું શરૂ.

error: Content is protected !!