ચંદીગઢ: શીખ કેદીઓની મુક્તિની માંગને લઈને ચંદીગઢમાં યોજાયેલા વિરોધ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયા બાદ કૌમી ઇન્સાફ મોર્ચાએ આગામી 21 ઓગસ્ટે ‘પંજાબ બંધ’ નું એલાન કર્યું છે. રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાના નિવાસસ્થાન તરફ કૂચ કરવાનો પ્રયાસ થતાં પોલીસે ટીયર ગેસ અને પાણીનો મારો ચલાવી ભીડને રોકી હતી.
પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ચંદીગઢ-મોહલી બોર્ડર પર કડક સુરક્ષા ગોઠવાઈ છે. અનેક સ્તરે બેરિકેડિંગ, કાંટાળા તાર, દંગા રોધી વાહનો અને રેપિડ એક્શન ફોર્સ સહિત મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે.
મોર્ચાનો દાવો છે કે કેટલાક શીખ કેદીઓ સજા પૂર્ણ થયા બાદ પણ વિવિધ જેલોમાં બંધ છે. તેમની મુક્તિની માંગને લઈને કૌમી ઇન્સાફ મોર્ચા 7 જાન્યુઆરી 2023થી ચંદીગઢ-મોહલી સરહદે ધરણા કરી રહ્યું છે. હવે આ આંદોલનને વિવિધ પંથક અને રાજકીય સંગઠનોનું સમર્થન મળતાં 21 ઓગસ્ટના બંધને લઈને તંત્ર સતર્ક બન્યું છે.





