ગુજરાત સરકારે સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણૂકની જાહેરાત કરી છે. આ મુદ્દે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો 27મી જુલાઈથી 5મી ઑગસ્ટ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ત્યારબાદ, મેરિટના આધારે સરકારી અને અનુદાનિત શાળાઓમાં શિક્ષણ કહાયકોની નિમણૂક કરવામાં આવશે.
જ્ઞાન સહાયકની નિમણૂક માટે વયમર્યાદા : આ જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઇન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. માધ્યમિકમાં જ્ઞાન સહાયકની નિમણૂક માટે 40 વર્ષની વયમર્યાદા નક્કી કરાઈ છે અને મહિને રૂ.24 હજારનું મહેનતાણું મળશે. જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં 42 વર્ષની વયમર્યાદા નક્કી કરાઈ છે, જ્યારે માસિક રૂ.26 હજારનું મહેનતાણું આપવામાં આવશે. ઉમેદવારોએ વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલી જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ તથા માર્ગદર્શિકા વાંચી લેવાની રહેશે. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તદઉપરાંત આવી મોકલેલી અરજીઓ માન્ય ગણાશે નહીં.ઓનલાઈન અરજી પ્રક્રિયા 27મી જુલાઈ 2024 શનિવારથી શરૂ થશે. ઓનલાઈન અરજી બાદ મેરિટના આધારે સરકારી અને અનુદાનિત શાળાઓમાં નિયુક્તિ કરવામાં આવે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 5મી ઓગસ્ટ 2024 સોમવાર છે, જે દિવસે રાત્રે 11:59 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે.