સેલ્ફી-તસવીરો બની કાળ : ઈન્દ્રાયણી નદી પરનો જર્જરિત બ્રિજ અચાનક ધરાશાયી થતાં 25થી 30 લોકો તણાયા હોવાની આશંકા

પુણેના કુંદમાલા વિસ્તારમાં આવેલી ઈન્દ્રાયણી નદી પરનો જર્જરિત બ્રિજ અચાનક ધરાશાયી થતાં 25થી 30 લોકો તણાયા હોવાની આશંકા છે. જેમાં બેના મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે છથી સાત લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સેલ્ફી લેવાના ચક્કરમાં મોટી સંખ્યામાં પર્યટકો બ્રિજ પર એકત્રિત થઈ જતાં બ્રિજ પડી ભાંગ્યો હોવાના પ્રારંભિક અહેવાલો મળ્યા છે.

માવલ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો હતો. ભારે વરસાદના કારણે ઈન્દ્રાયણી નદીનું જળ સ્તર વધ્યું હતું. સુંદર વહી રહેલા ઝરણાંના રમણીય કુદરતી દ્રશ્યો જોવા પર્યટકો આ પ્રવાસન સ્થળ કુંદમાલાની મુલાકાતે આવ્યા હતા. જૂનો-જર્જરિત લોખંડના બ્રિજ પર લોકો તસવીરો ક્લિક કરવા તેમજ સેલ્ફી લેવા ઉમટી પડ્યા હતાં. બ્રિજ તૂટ્યો ત્યારે તેની ઉપર 100થી વધુ લોકો ઉપસ્થિત હતાં. એક ભયાવહ અવાજ સાથે બ્રિજનો એક હિસ્સો અચાનક ધરાશાયી થયો હતો. જેથી નદીના પ્રવાહમાં લોકો તણાયા હતા.આ દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો, એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ ફાયર બ્રિગેડની ટીમ બચાવ કામગીરી માટે દોડી આવી હતી. જેમાં 25થી 30 લોકો તણાયા હોવાની આશંકા છે. જ્યારે બે મૃતદેહો મળી આવ્યા હતાં. પાંચથી છ લોકોને બચાવી પણ લેવામાં આવ્યા છે. હજુ બચાવ કામગીરી અને શોધ-ખોળ ચાલુ છે. વરસાદના કારણે બચાવ કામગીરીમાં અવરોધો નડી રહ્યા છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતાં તાત્કાલિક ધોરણે સહાયતા પહોંચાડવા આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું કે, ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ ચાલુ છે. તમામને બચાવી લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સીનિયર કેબિનેટ મંત્રી ગિરિશ મહાજને આ અંગે જણાવ્યું હતું કે, આ દુઃખદ ઘટના છે. 5-6 લોકોના મોતના અહેવાલ છે. 20થી 25 લોકો તણાઈ ગયા હોવાની આશંકા છે. હું ઘટના સ્થળે પહોંચી રહ્યો છું.

બ્રિજ ત્રણ મહિનાથી બંધ હતો : આ જર્જરિત બ્રિજ પર છેલ્લા ત્રણ મહિનાથી વાહનોની અવર-જવર બંધ કરવામાં આવી હતી. સ્થાનિક ધારાસભ્ય સુનીલ શેલકેએ જણાવ્યા પ્રમાણે, આ નાનકડો બ્રિજ માત્ર ખેડૂતોની અવરજવર માટે હતો. તે પ્રતિબંધિત હતો. તેમ છતાં પર્યટકો ઉમટી પડતાં આ દુર્ઘટના બની છે.

error: Content is protected !!