હરિયાણાના પંચકુલામાં ત્રણ બાળકો સહિત એક જ પરિવારના છ સભ્યો કારમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતાં જ્યારે અન્ય એક વ્યકિતનું હોસ્પિટલ લઇ જતી વખતે રસ્તામાં મૃત્યુ થયું હતું તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.
પોલીસને મૃતકોની ઓળખ ૪૧ વર્ષીય પ્રવીણ મિત્તલ, તેમંના પત્ની,દંપતિના ત્રણ બાળકો તથા તેમના માતા પિતા તરીકે કરવામાં આવી છે. દેવાના બોજમાં દબાયેલા એક જ પરિવારના સાત સભ્યોએ ઝેર ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવાર દહેરાદૂનનો રહેવાસી હતો અને પંચકુલામાં બાગેશ્વર ધામમાં હનુમંત કથા સાંભળવા માટે આવ્યું હતું. કથા સાંભળ્યા પછી પરિવાર કારમાં પરત ફરી રહ્યું હતું ત્યારે તમામ સભ્યોએ રસ્તામાં ઝેર ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. રાતે ૧૧ વાગ્યે પોલીસને માહિતી મળી કે સેક્ટર-૨૭માં મકાન નંબર ૧૨૦૪ની બહાર ઉભેલી એક કારમાં કેટલાક લોકો ગંભીર સ્થિતિમાં છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો કારમાંથી છ મૃતદેહો મળી આવ્યા હતાં અને એકની સ્થિતિ ગંભીર હતી.જો કે હોસ્પિટલ લઇ જતી વખતે તેનું પણ મોત થયું હતું.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પરિવારના નજીકના લોકોએ કહ્યું છે કે પરિવાર મોટી રકમનું દેવું હતું. પ્રવીણ મિત્તલે તાજેતરમાં દેહરાદૂનમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સ કંપનીનો વ્યવસાય શરૂ કર્યો હતો જેમાં તેમને ભારે નુકસાન થયું હતું. આર્થિક તંગીને કારણે પરિવારે આ દુ:ખદ પગલું ભર્યુ હતું. પોલીસના જણાવ્યા અનુસાર તેને ઘટના સ્થળેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે.
આ ઘટનાના સાક્ષી અને સ્થાનિક રહેવાસી પુનિત રાણાએ જણાવ્યું હતું કે તેણે કારમાં છ લોકોને ઢળી પડેલા જોયા હતાં અને તેમના મોંમાંથી ફીણ નીકળી રહી હતી. તે સમયે પ્રવીણ મિત્તલ જીવિત હતાં અને મિત્તલે રાણાને જણાવ્યું હતું કે પરિવાર તમામ સભ્યોએ ઝેર પી આત્મહત્યા કરી લીધી છે અને હું પણ પાંચ મિનિટમાં મૃત્યુ પામીશ.આટલું કહી મિત્તલ પણ ઢળી પડયા હતાં.લુધિયાણામાં રહેતા પ્રવીણ મિત્તલના પિતરાઇ ભાઇ સંદીપ અગ્રવાલે જણાવ્યું હતું કે એક સમયે મિત્તલને ૧૫ થી ૨૦ કરોડ રૂપિયાનું દેવું હતું. જોકે આ જૂની વાત છે અને બેંકોએ આ દેવું સેટલ કરવા અનેક વસ્તુઓ જપ્ત કરી હતી.