દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રીના પાવન દિવસની તાપી જિલ્લામાં પણ અપાર શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, મહાશિવરાત્રી નિમિત્તે જિલ્લામાં આવેલા નાના-મોટા શિવાલયો તેમજ સુપ્રસિદ્ધ શિવાલય પૂર્વરાતથી જ ભવ્યાતી ભવ્ય રંગબેરંગી રોશનીથી શણગારી દેવામાં આવ્યા હતા. તો કેટલાક શિવાલયો ખાતે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વ્યારા-સોનગઢ અને ડોલવણ સહિતના તાલુકાભરમાં આવેલા સુપ્રસિદ્ધ શિવાલયોમાં વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ સાથે લાંબી કતારો જોવા મળી હતી. શિવાલયોમાં શિવજી ઉપર દૂધ, પાણી, ભાંગ શેરડીનો રસ, ઘી, મધ સહિતનો અભિષેક કરવા માટે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ લાંબી લાઈનોમાં ઉભા નજરે પડ્યા હતા.વહેલી સવારથી જ શિવાલયોમાં મંગળા આરતી સહિત વિવિધ શૃંગારના દર્શનનો શ્રદ્ધાળુઓએ લ્હાવો લીધો હતો. શિવાલયોમાં શિવજીની આરાધના કરતી સ્તુતિઓ, ભજનો, ગીતોથી ગુંજી ઉઠ્યા હતા.
મહાશિવરાત્રી નિમિત્તે તાપી જિલ્લામાં ગૌમુખ ખાતે મહાદેવજી મંદિર, ઉચ્છલના ધારેશ્વર મહાદેવ મંદિર, વ્યારામાં આવેલા સ્ટેશન રોડ પર નર્મદેશ્વર મહાદેવ, સ્મશાન ભૂમિની પાછળ આવેલું મનકામેશ્વર મહાદેવ મંદિર, વ્યારા નગરના માર્ગ પર આવેલું હરિ હરેશ્વર મહાદેવનું મંદિર સહીત નગરમાં આવેલા અન્ય નાનામોટા શિવાલયોને મહાશિવરાત્રી નિમિતે શણગારી દેવાયા હતા. શીવાલયોમાં સવારથી સાંજ સુધી ભક્તિભાવ ભર્યુ વાતાવરણ સર્જાયું.

વ્યારાના બાલપુરના કર્દમેશ્વર મહાદેવના મંદિર અને ડોલવણના પદ્મડુંગરી ખાતે આવેલ સરભંગેશ્વર મહાદેવજી મંદિરે મહાશિવરાત્રી નિમેત્તે મેળાનું તેમજ જય ભલે ગૃપ દ્વારા ભંડારાનું આયોજન કરાયું હતું. લોકો મોટી સંખ્યામાં મહાદેવના મંદિરે દર્શનાર્થે ઉમટીને ભાવિક ભક્તો શિવભક્તિ લીન થયા હતા.શ્રદ્ધાળુઓની ભારે ભીડથી શિવાલયોમાં ‘ઓમ નમઃ શિવાય’ અને ‘બમ બમ ભોલેનાથ’ના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભજન-કિર્તનથી ભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.