નડિયાદમાં 9 ફેબ્રુઆરીના રોજ જીરા સોડા પીને ત્રણ વ્યક્તિઓની તબીયત લથડયા બાદ ત્રણે વ્યક્તિનું ગણતરીના સમયમાં જ મોત નિપજ્યું હતું. પ્રારંભમાં તો આ ઘટનાને લઠ્ઠાકાંડની નજરે જોવામાં આવી રહી હતી અને તે સમયે નડિયાદ પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધ્યો હતો. જોકે પાછળથી વિસેરાના રીપોર્ટમાં સોડિયમ નાઈટ્રાઈટ પોઈઝનનું કારણ સામે આવતા પોલીસે આ ઘટનામાં 19 દિવસ બાદ ફરિયાદ નોંધી હતી. જો કે હવે આ કેસની તપાસમાં ચોંકવાનારા ખુલાસા થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદમાં સોડાકાંડમાં ત્રણ વ્યક્તિના મોતની ઘટનાની તપાસમાં પોલીસ સામે ચોંકાવનારી વિગતો આવી છે. આ ઘટનાનો હત્યારો બીજો કોઈ નહીં પરંતુ મૃતક મુકબધિરની પડોશમાં રહેતો એક શિક્ષક હોવાનું ખુલ્યું છે. આત્મહત્યા કરવા ઈચ્છતા શિક્ષકે પોતાની આત્મહત્યા મૃત્યુમાં ખપાવી પરીવારને વીમાનો આર્થિક લાભ મળે તે હેતુથી ઓનલાઈન માધ્યમથી સોડીયમ નાઈટ્રાઈટ મંગાવ્યું હતું. જેનો અખતરો કરવા મુકબધિરને પીવડાવ્યું અને ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
ફરિયાદની વિગતો અનુસાર નડીયાદનાં જવાહરનગર, રેલ્વે ફાટક નજીક જીરા સોડા પીધા બાદ ત્રણ વ્યક્તિને શારીરિક તકલીફ થતા સારવાર માટે સીવીલ હોસ્પીટલ નડીયાદ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે ત્રણેય વ્યક્તિઓને મૃત જાહેર કર્યા હતા. જેના આધારે નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અપમૃત્યુનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પરંતુ એફ.એસ.એલ. રીપોર્ટમાં ત્રણેય વ્યક્તિઓના બ્લડ સેમ્પલમાં મિથાઈલ આલ્કોહોલ મળી આવ્યું હતું આથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે ત્રણેય વ્યક્તિઓના પી.એમ. વખતે મેળવેલ નમુનાની તપાસ માટે એફ.એસ.એલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા હતા.એફ.એસ.એલ રીપોર્ટમાં ત્રણેય વ્યક્તિઓના વિસેરામાં તેમજ જીરા સોડા પીધેલ હતી તે ખાલી બોટલમાં સોડીયમ નાઇટ્રાઈટ મળી આવતા ત્રણેય વ્યક્તિઓનુ મૃત્યુ ચોક્કસ કારણ “કાર્ડિયો રેસ્પીરેટરી એરેસ્ટ ડ્યુ ટુ સોડીયમ નાઈટ્રાઈટ પોઇઝ’ હોવાનું જાણવા મળ્યું હતું. જીરા સોડાની બોટલમાં અગાઉથી સોડીયમ નાઈટ્રાઈટ પોઇઝન ભેળવેલ હોય તેવી શંકાના આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
ફરિયાદ નોંધાયાનાં ગણતરીના દિવસોમાં જ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) અને અન્ય પોલીસની ટીમની મદદ લઈને હત્યાકાંડની તપાસ કરવામાં આવી હતી. જેમાં અ ઘટનાનાં મૃતક મૂકબધિર કનુભાઈ ચૌહાણના પડોશમાં જ રહેતા સરકારી શિક્ષક હરિકિશન મકવાણાનું નામ આ હત્યાકાંડમાં સામે આવ્યું હતું. આ કેસમાં પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી. જેની તપાસમાં પોલીસ સામે ચોંકાવનારા ખુલાસા થયા હતા. હત્યારા શિક્ષક પર કોર્ટ કેસ ચાલતા હોય તેનાથી કંટાળી ગયા હતા અને આત્મહત્યાનાં વિચારો કરી રહ્યા હતા અને તે માટે અખતરો કરવા તેમણે સોડિયમ નાઇટ્રાઇટને જીરા સોડાની બોટલમાં ભેળવી પડોશી મૃતક મૂકબધિરનો ઉપયોગ કર્યો હતો. જો કે તેના અન્ય મિત્રોએ પિતા ઘટનામાં ત્રણ લોકોનું મૃત્યુ નીપજ્યું હતું.આ કેસની ઉલટ તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીને જાણ હતી કે જો પોતે આત્મહત્યા કરશે તો તેનાં પરિવારને કોઇ લાભ મળશે નહિ અને તે માટે તેણે સરખેજ પોલીસ સ્ટેશનનાં એક ગુના વિશે વાંચીને અખતરો કરવા માટે એમેઝોન પરથી સોડીયમ નાઈટ્રાઈટ મંગાવ્યું હતું અને તેનો અખતરો પડોશી મૃતક મૂકબધિર પર કર્યો હતો.