સુરત શહેરના પરવટ પાટિયાના કાપડના વૈપારી બાઈક પર ઘરે જતા હતા ત્યારે પુણા વિસ્તારમાં નોવા રેસ્ટોરન્ટ પાસે અકસ્માત સર્જાયો હતો. ગંભીર ઈજાને કારણે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ મૂળ રાજસ્થાન ઉદયપુરના વતની અને હાલ પરવટ પાટિયા ખાતે આવેલા રેશ્મા રો-હાઉસમાં રહેતા વસંતલાલ ભવરલાલ જૈન રિંગરોડ પર કાપડ માર્કેટમાં કાપડની દુકાન ચલાવી પત્ની અને ત્રણ સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. વસંતલાલ શનિવારે સાંજે બાઇક પર માર્કેટથી ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન પુણામાં આવેલ નોવા રેસ્ટોરન્ટ પાસે ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વસંતલાલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વસંતલાલનું મોત નીપજયું હતું. અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ પુણા પોલીસ કરી રહી છે.