વેપારીઓએ તુર્કીયે ના સફરજનો રસ્તા પર ફેંકીને પગેથી કચડ્યા

ભારત-પાકિસ્તાનની સરહદ પર તણાવપૂર્ણ સ્થિતિ વખતે દુશ્મન પાકિસ્તાનને ખુલ્લેઆમ ટેકો જાહેર કરનાર તુર્કીયે સામે વિરોધ વ્યક્ત કરવા માટે પુણેના ફળોના વેપારીઓએ તુર્કીયે ના સફરજનો રસ્તા પર ફેંકીને પગેથી કચડી નાખ્યા હતા.

તુર્કીથી મોટા પ્રમાણમા સફરજનો ભારત આવતા હોય છે પરંતુ તુર્કી સામે દેશભરમાં જાગેલા વિરોધને લીધે પુણેના ફળોના વેપારીઓએ તુર્કીથી સફરજનની આયાત જ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

નવી મુંબઇની ફ્રુટ માર્કેટના સૂત્રોએ જણાવ્યું હતું કે તુર્કીના એપલની સિઝન જુલાઇમાં શરૃ થતી હોય છે. એટલે એ પહેલા અમે પણ આયાત બંધ કરવાનો નિર્ણય લેશું. કારણ ભારતના દુશ્મનને જે સહાય કરે તેની સાથે વેપારી સંબંધ તોડી જ નાખવા જોઇએ. બીજું જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાંથી સફરજનની ભરપૂર આવક થતી હોય છે. એટલે તુર્કીના સફરજનો મંગાવવાના બંધ કરશું તો કોઇ મોટી અસર નહીં થાય.

દરમિયાન, પુણેના ફળોના વેપારીઓએ તુર્કીના સફરજનોની આયાત બંધ કરવાનો નિર્ણય લીધા બાદ એક વેપારીને પાકિસ્તાનથી ધમકી મળી હોવાનું જાણવા મળ્યું હતું.પુણે એ.પી.એમ.સી. માર્કેટ યાર્ડના સુયોગ ઝેન્ડે નામના વેપારીને મોબાઇલ પર વોઇસ મેસેજથી ધમકી આપવામાં આવી હતી.

વેપારીએ કહ્યું હતું કે સવારે ૯ વાગ્યે અજાણ્યા નંબર પરથી સતત કોલ આવવા માંડયા હતા. પણ મે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. એટલે વોઇસ મેસેજ પર ધમકી આપવામાં આવી હતી. આ મેસેજમાં ભારત વિરૃદ્ધ અભદ્ર ભાષા વાપરવામાં આવી હતી. વધુમાં એવું કહેવામાં આવ્યું હતું કે તમે પાકિસ્તાન કે તુર્કીનું કંઇ બગાડી નહીં શકો.આ ધમકીભર્યા સંદેશનો મેં પણ વોઇસ મેસેજથી જવાબ વાળ્યો હતો.આ ધમકીની ફરિયાદ માટે પુણેના વેપારીઓ પુણેના પોલીસ કમિશનરને મળીને રજૂઆત કરશે.

error: Content is protected !!