મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે હાથેથી મેલું ઉપાડવાની પ્રથા અને જોખમી સફાઈ કામગીરીને લઈને મહારાષ્ટ્ર સરકારની નીતિ પર આકરી ટીકા કરી છે. અદાલતે ટિપ્પણી કરી કે ભારત ચંદ્ર પર પહોંચી ગયું હોવા છતાં સમાજમાં જાતિવ્યવસ્થાનું દૂષણ યથાવત્ છે, જે લોકોને માનવીય ગરિમા વિરુદ્ધનું કામ કરવા મજબૂર કરે છે.
જસ્ટિસ ભારતી ડાંગરે અને જસ્ટિસ મંજૂષા દેશપાંડેની બેન્ચે સરકારની એવી નીતિ રદ કરી, જેમાં સફાઈ દરમિયાન મોતને ભેટનાર શ્રમિકોના પરિવારને વળતર આપવાની જવાબદારી માત્ર રોજગારદાતા પર મૂકવામાં આવી હતી. કોર્ટે રાજ્ય સરકારને મૃતકના આશ્રિતોને રૂ.30 લાખનું વળતર ચૂકવવા અને ત્યારબાદ ઇચ્છા મુજબ સંબંધિત રોજગારદાતા પાસેથી રકમ વસૂલવાની સૂચના આપી છે.





