ગુજરાત હાઇકોર્ટે પતિ-પત્ની વચ્ચેના વિવાદ મુદ્દે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં અદાલતે આત્મહત્યા કરવાના પત્નીના પ્રયાસને પતિ માટે ભાવનાત્મક અને માનસિક ત્રાસ ગણાવ્યો છે. તેમજ આ પ્રકારની ધમકીએ ક્રૂરતા જ ગણાય છે. હાઈકોર્ટે વધુમાં નોંધ્યું હતું કે પત્નીનો આત્મહત્યા કરવાની ધમકી પતિને કાયમી ચિંતા અને ભાવનાત્મક વમળમાં ધકેલી દે છે. પત્નીનો આ પ્રયાસ કથિત રીતે પતિને ભાવનાત્મક રીતે હેરાન કરવાનો અને માનસિક ત્રાસ આપવા સમાન છે.
વૈવાહિક અધિકારો પરત આપવાનો ઇનકાર : આ અંગે જસ્ટિસ સંજીવ ઠાકરે પત્નીના વૈવાહિક અધિકારો પરત આપવાનો ઇનકાર કર્યો હતો. તેમજ ટ્રાયલ કોર્ટ અને એપલેટ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો. તેમજ આત્મહત્યાના પ્રયાસની ધમકીથી ઉદભવતી માનસિકતા ક્રૂરતા અન્ય સાથે સરખાવી શકાય તેવી નથી. દાંપત્યજીવનમાં બંને વ્યક્તિઓ પાસેથી કરુણા અને ધીરજ સાથે બંધનને ચલાવવાની અપેક્ષા રાખવામાં આવે છે. આ કેસમાં ભલે ગમે તેટલા મતભેદ હોય પરંતુ આમાં પત્નીએ આત્મ હત્યાના પ્રયાસની બાબત સ્વીકારી છે. પત્નીએ માનહાનિ થાય તેવા પોસ્ટરો પણ છાપ્યા હતા. જેમાં પતિ ગુમ થવાનું લખ્યું હતું જે જાહેર માનહાનિ છે.તેથી આવા સંજોગોમાં અદાલતે વૈવાહિક અધિકારો પરત આપવા યોગ્ય લાગતા નથી. આત્મહત્યાના પ્રયાસનું કૃત્ય હતાશાનું પરિણામ છે. જે પતિ પર શારીરિક નિયંત્રણો લાવી શકે છે. આવું વર્તન વ્યકિતગત સંઘર્ષની સીમાઓ ઓળંગે છે.