ભારતની સામે પડવુ માલદીવના રાષ્ટ્રપતિ મોઈજ્જુને પોતાના જ દેશમાં ભારે પડી રહ્યું છે. જણાવી દઈએ કે ભારત વિરોધી નિવેદનબાજીને લઈ માલદીવના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. તેની વચ્ચે માલદીવની બે મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ સંસદમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજ્જુના ભાષણનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે.
તાજેત્તરમાં જ ચીન પ્રવાસથી આવ્યા બાદ મોઈજ્જુએ ભારતીય સૈનિકોને બહાર કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ ભારત અને માલદીવના સંબંધોમાં કડવાશ આવી ગઈ છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે મોઈજ્જુ ચીન સમર્થક છે. ત્યારે હવે ભારતની સાથે તણાવના કારણે વિપક્ષ મોઈજ્જુનો વિરોધ કરી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ માલદીવની બે મુખ્ય વિપક્ષી પાર્ટીઓ છે, જેમાં એક માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી અને બીજી ડેમોક્રેટ પાર્ટી છે. આ બંને પાર્ટીએ રાષ્ટ્રપતિ મોઈજ્જુના ભાષણ દરમિયાન ગૃહનો બહિષ્કાર કર્યો છે.
ડેમોક્રેટ્સે જણાવ્યું કે ભારત અને પીએમ મોદીની વિરૂદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરનારા ત્રણ કેબિનેટ પ્રધાનોની પુનઃનિયુક્તિને કારણે તેઓ બેઠકથી દૂર છે. જો કે અત્યાર સુધી એમડીપીના આરોપમાં કાર્યક્રમમાં સામેલ ન થવાનું કારણ સામે આવ્યુ નથી. મીડિયા રિપોર્ટ મુજબ હાલમાં જ એમડીપી અને ડેમોક્રેટસે એક નિવેદન આપી મોઈજ્જુ સરકારની વિદેશ નીતિ પર સવાલ ઉભા કર્યા હતા અને તેને ખુબ જ ખતરનાક ગણાવ્યુ હતું. વિપક્ષે કહ્યું હતું કે માલદીવની સ્થિરતા માટે હિંદ મહાસાગરમાં સુરક્ષા મહત્વપૂર્ણ છે.