રાજકોટમાં સગર્ભા મહિલાની પ્રસૂતિ બાદ મોત નિપજતા વિવાદ સર્જાયો છે. તબીબોની બેદરકારીને કારણે પ્રસૂતાનું મોત નિપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. રાજકોટના થોરાળા વિસ્તારમાં રહેતા નંદિની રાઠોડ નામની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તેને સૌપ્રથમ સતનામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં બાળકનો જન્મ થયા બાદ પ્રસૂતાની તબિયત લથડી હતી. આથી તેને વધુ સારવાર માટે જલારામ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહીં તેમનું મોત નિપજ્યુ હતુ. પરિવારજનોએ સતનામ અને જલારામ એમ બંને હોસ્પિટલમાં તબીબી બેદરકારીને કારણે પ્રસૂતાનું મોત નિપજ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. તબીબોએ સારવારને બદલે રૂપિયાની માંગણી કરી અને છેલ્લી ઘડી સુધી દર્દીને મળવા દેવામાં ન આવ્યા હોવાનો પણ દાવો કર્યો હતો. પરિવારજનોના આક્ષેપ બાદ પોલીસે મહિલાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
