અમરેલી લેટર કાંડની હાલ તપાસ ચાલી રહી છે. થોડા દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલના વડા અને અમરેલીના પૂર્વ એસપી નિર્લિપ્ત રાયને આ તપાસ સોંપવામાં આવી હતી. જે બાદ હવે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આરોપીઓ પૈકીના એક અશોક માંગરોળીયા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. અશોક માંગરોળીયા જસવંતગઢ ગામના સરપંચ છે, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને આ કેસમાં દોષમુક્ત ન થાય ત્યાં સુધી હોદ્દા પરથી મોકૂફ રાખવાનો ફેંસલો લીધો હતો.
અમરેલી લેટર કાંડને મામલે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગઈકાલે કહ્યું હતું કે, પાયલ સાથે જે થયું તેની તપાસ થવી જોઈએ. જે તે પોલીસકર્મી સામે પગલાં પણ લેવાવા જોઈએ. તેમણે કહ્યું કે, પાયલને ભાજપની સરકાર ચોક્કસ ન્યાય આપશે. વિજય રૂપાણીએ કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કૉંગ્રેસ અમરેલી મુદ્દે હવાતિયા મારી રહી છે. ગુજરાતમાં કૉંગ્રેસ ખલાસ થઈ ગઈ છે. નવા સંગઠન મુદ્દે વિજય રૂપાણીએ માહિતી આપી હતી કે, ભાજપ પાર્ટી લોકતાંત્રિક ઢબે ચાલે છે. સમય-સમયે આંતરિક ચૂંટણીઓ કરે છે. સંગઠન મુદ્દે પાર્ટી એકમતે નિર્ણય કરશે.અમરેલી ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ પણ ગઇકાલે પોલીસ કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા હતા. સંઘાણીએ સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ આ મુદ્દાને રાજકીય દૃષ્ટિકોણથી નથી જોતા. તેમણે જણાવ્યું હતું કે પાયલનું સરઘસ કાઢવું, આક્ષેપ મુજબ માર મારવો અને લાંબી સજાવાળી કલમો લગાવવી એ વધુ પડતું છે. સરકારે નિર્લિપ્ત રાયને સોંપેલી તપાસ પર વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, મૂળ કેસમાં લાગેલી કલમોની પણ ચકાસણી થવી જોઈએ.
શું હતો સમગ્ર મામલો : અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડ કાંડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત ચાર કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે લેટર કાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતી પાયલ ગોટીનું સરઘસ કાઢ્યું હતું, જેનો ભારે વિરોધ થયો હતો. જે બાદ ત્રીજી જાન્યુઆરીએ આ પાટીદાર યુવતીની જામીન અરજીને લઈને સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે યુવતીના જામીન મંજૂર કર્યા હતા. સેશન્સ કોર્ટે 15 હજારના બૉન્ડ પર પાયલ ગોટીને રેગ્યુલર જામીન આપ્યા હતા. જે બાદ કૉંગ્રેસ દ્વારા પાટીદાર દીકરીના વરઘોડાને લઈ વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો.