માંડવીના પીપલવાડા નજીક અકસ્માત : બાઈકચાલક યુવકનું કારની ટક્કરથી મોત

સુરતના માંડવી તાલુકાના પીપલવાડા ગામ નજીક ફેદરીયા ચાર રસ્તાથી ઉકાઈ તરફ જતા રોડ પર શનિવારે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવતી મારુતિ વાને બાઈકને ટક્કર મારતા એક યુવકનું મોત થયું હતું. જ્યારે ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે વાહન ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે માંડવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ૧૫ માર્ચ ૨૦૨૫ના રોજ બપોરે ૧૨:૧૫ વાગ્યાની આસપાસ મારુતિ વાનના ચાલક બિપીનભાઈ જલમસિંગભાઈ વસાવાએ ગફલતભરી રીતે હંકારી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક અલ્પેશભાઈ ગોવિંદભાઈ ચૌધરી (રહે. ગાંગપુર-હર્ષદ, લાંબાપાટ ફળિયું, તા.માંડવી)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે કારચાલક બિપીનભાઈ જલમસિંગભાઈ વસાવા, કારમાં સવાર અરવિંદભાઈ ફરમજીભાઈ વસાવા અને જીતુભાઈ દેવીલાલ વસાવાને પણ માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!