ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડે વર્ષ 2025-26 દરમિયાન રાજ્યના સાત સરકારી ઔષધીય ઉદ્યાનોમાંથી 2.75 લાખથી વધુ ઔષધીય રોપાનું વિનામૂલ્યે વિતરણ કર્યું છે. વ્યક્તિગત ઉપયોગ માટે 10, શાળા-સંસ્થાઓને 50 અને ખેડૂતો તથા જાહેર જમીન માટે 500 સુધીના રોપા મફતમાં આપવામાં આવે છે. જ્યારે ગાંધીનગર ઉદ્યાનમાંથી ચંદનના રોપા રૂ. 20ના સબસિડાઇઝ્ડ દરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
રાજ્યના ગાંધીનગર, વાંસદા, ભુજ, રાજપીપળા, ઝાલોદ, પાલનપુર અને આહવા-સાપુતારામાં કાર્યરત ઔષધીય ઉદ્યાનો આયુર્વેદિક જ્ઞાન અને સંશોધનના કેન્દ્ર તરીકે પણ વિકસ્યા છે. દર વર્ષે આશરે 20 હજાર વિદ્યાર્થીઓ અને સંશોધકો અહીં મુલાકાત લઈને ઔષધીય વનસ્પતિઓનો અભ્યાસ કરે છે. બોર્ડ ખેડૂતોને ઔષધીય પાકોની ખેતી માટે સબસિડી પણ આપે છે તેમજ તુલસી, અશ્વગંધા, બ્રાહ્મી, ગળો, શતાવરી સહિતની વિવિધ ઔષધીય વનસ્પતિઓનું સંવર્ધન અને વિતરણ કરે છે.





